16 November, 2025 09:11 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
સરબજિત કૌર અને તેનું કથિત નિકાહનામું.
ગુરુ નાનક જયંતી નિમિત્તે યાત્રાળુઓના જૂથ સાથે ગયેલી પંજાબના કપૂરથલાની સરબજિત કૌરનું નિકાહનામું વાઇરલ, ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને ત્યાં પરણી ગઈ હોવાની ચર્ચા
ગુરુ નાનકદેવના પ્રકાશપર્વની ઉજવણી માટે ધાર્મિક જૂથના ભાગરૂપે પાકિસ્તાન ગયેલી પંજાબના કપૂરથલાની બાવન વર્ષની રહેવાસી સરબજિત કૌર પાકિસ્તાનથી પાછી ફરી નથી અને હવે વાઇરલ થયેલા એક કથિત નિકાહનામામાં દાવો કરવામાં આવ્યો છે કે સરબજિત કૌરે ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે અને તેણે પાકિસ્તાનના શેખુપુરાના નયી આબાદીના રહેવાસી નાસિર હુસૈન સાથે નિકાહ પઢી લીધા છે. હવે ભારતીય અધિકારીઓ તેને શોધવા માટે પાકિસ્તાની અધિકારીઓના સંપર્કમાં હોવાનું જાણવા છે.
સિખ યાત્રાળુઓને પાકિસ્તાનમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની સુવિધા આપતા દ્વિપક્ષીય કરાર હેઠળ સરબજિત કૌર ૪ નવેમ્બરે વાઘા-અટારી સરહદ પાર કરીને પાકિસ્તાન ગઈ હતી. આ વર્ષે ગુરુ નાનકદેવની ૫૫૫મી જન્મજયંતી ઊજવવામાં આવી હતી. ૧૯૯૨ સિખ યાત્રાળુઓનું જૂથ પાકિસ્તાનમાં લગભગ ૧૦ દિવસ વિતાવ્યા પછી ૧૩ નવેમ્બરે ભારત પાછું ફર્યું હતું. સરબજિત કૌર તેમની સાથે પાછી ફરી નહોતી.
૧૩ નવેમ્બરે ગુમ થયેલી સરબજિત કૌરના કિસ્સામાં હવે એક કથિત નિકાહનામા અને તેના પાસપોર્ટની નકલ સામે આવી છે.