25 April, 2025 01:03 PM IST | Gangtok | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર સિક્કિમ (Sikkim)માં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મોડી રાત્રે લાચેન ચુંગથાંગ (Lachung Chungthang) રોડ પર મુનશીથાંગ અને લાચુંગ ચુંગથાંગ (Munshithang and Lachung Chungthang) વચ્ચે લેમા/બોબ ખાતે ભારે ભૂસ્ખલન (Sikkim Landslide) થયું હતું. ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે લગભગ એક હજાર પ્રવાસીઓ અને તેમના વાહનો રસ્તાની બીજી બાજુ ફસાયેલા છે. સતત વરસાદને કારણે ઉત્તર સિક્કિમના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેને કારણે રોડ કનેક્ટિવિટી પર અસર થઈ છે. તેમજ આજે પોલીસે પરમિટ પર રોક લગાવી છે.
સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તર સિક્કિમમાં વિવિધ સ્થળોએ એક હજારથી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચુંગથાંગ ગુરુદ્વારા અને ITBP કેમ્પમાં હાલમાં લગભગ ૨૦૦ પ્રવાસી વાહનો ફસાયેલા છે, જ્યારે લાચુંગમાં લગભગ ૧૦૦૦ પ્રવાસીઓ ફસાયેલા છે. ખરાબ હવામાન અને રોડ ટ્રાફિકમાં સમસ્યાને કારણે, અધિકારીઓએ આજે ઉત્તર સિક્કિમ માટે અગાઉ નિર્ધારિત તમામ મુસાફરી પરમિટ રદ કરી દીધી છે. અગાઉ જારી કરાયેલી એડવાન્સ પરમિટ પણ અમાન્ય જાહેર કરવામાં આવી છે.
અધિકારીઓએ ટુર ઓપરેટરોને સલામતીના કારણોસર આજે ઉત્તર સિક્કિમમાં કોઈપણ પ્રવાસીને ન મોકલવા કડક સૂચના આપી છે. ઉત્તર સિક્કિમમાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, ત્યાં ટ્રાવેલ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. મંગન જિલ્લાના પોલીસ અધિક્ષક સોનમ દેચુ ભૂટિયા પાસેથી મળેલી માહિતી અનુસાર, લાચેન-ચુંગથાંગ રોડ પર મુનશીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર લેમા/બોબ ખાતે મોટા ભૂસ્ખલનના અહેવાલ છે. ભૂટિયાએ જણાવ્યું હતું કે, લાચેન ચુંગથાંગ રોડ પર મુનશીથાંગ અને લાચુંગ ચુંગથાંગ રોડ પર લેમા/બોબ ખાતે મોટા પાયે ભૂસ્ખલન થયું છે. આ ઉપરાંત, ઉત્તર સિક્કિમમાં સતત વરસાદ પડી રહ્યો છે. ચુંગથાંગનો રસ્તો ખુલ્લો છે પરંતુ ભારે વરસાદને કારણે રાત્રે ત્યાં પહોંચવું શક્ય નથી. તેથી, ઉત્તર સિક્કિમ માટે આજે પરમિટ જારી કરવામાં આવશે નહીં અને જારી કરાયેલી તમામ એડવાન્સ પરમિટ રદ કરવામાં આવશે.
અધિકારીઓએ પ્રવાસીઓ અને રહેવાસીઓને આ માર્ગો પર મુસાફરી કરવાનો પ્રયાસ ન કરવા ચેતવણી આપી છે કારણ કે વધુ ભૂસ્ખલન અને રસ્તા તૂટી પડવાનું જોખમ વધારે છે.
ઉત્તર સિક્કિમમાં લાચેન (Lachen), લાચુંગ (Lachung) અને યુમથાંગ (Yumthang) જેવા પર્યટન સ્થળોને જોડતા મહત્વપૂર્ણ માર્ગો ભૂસ્ખલનના કારણે પ્રભાવિત થયા છે, જે વસંત અને ઉનાળાની ઋતુમાં પ્રવાસીઓમાં લોકપ્રિય વિસ્તારો છે. પરંતુ અત્યારે આ રસ્તાઓ પર મુસાફરી કરવી જોખમી છે, કારણ કે ભૂસ્ખલન અને રસ્તા તૂટી પડવાનું જોખમ વધી ગયું છે. સામાન્ય લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ રસ્તાઓ પર કાળજીપૂર્વક વાહન ચલાવે, નહીં તો તેઓ અકસ્માતનો ભોગ બની શકે છે.