28 August, 2026 04:40 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સોનિયા ગાંધીની `બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ`
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની ખૂબ જ અપેક્ષિત આત્મકથા, `બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ` વિશે મોટી માહિતી જાણવા મળી છે. અહેવાલો અનુસાર, પૅન્ગવિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા - જેણે અગાઉ ભારતમાં પુસ્તક પ્રકાશિત કરવાની યોજના જાહેર કરી હતી - હવે આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગઈ છે.
પૅન્ગવિન ઇન્ડિયાએ જણાવ્યું છે કે તે ભારતમાં પુસ્તક પ્રકાશિત કરશે નહીં. અહેવાલો સૂચવે છે કે પ્રકાશકે સોનિયા ગાંધીની હસ્તપ્રતના એક ભાગમાં કેટલાક સંપાદકીય ફેરફારો અને કાપ મૂકવાનું સૂચન કર્યું હતું. લેખકે આ ફેરફારો સ્વીકાર્યા ન હતા, જેના કારણે પ્રકાશકે પુસ્તક પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો હતો. ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ` સોનિયા ગાંધીની ઇટાલીથી ભારતની યાત્રા, રાજીવ ગાંધી સાથેના તેમના લગ્ન અને નેહરુ-ગાંધી પરિવાર સાથેના તેમના જીવનનો ઇતિહાસ રજૂ કરે છે. પૅન્ગવિન ઇન્ડિયાની પુસ્તક પ્રકાશિત કરવાની પ્રારંભિક યોજનાના સમાચાર અગાઉ સામે આવ્યા હતા.
પૅન્ગવિન ઇન્ડિયાએ પુસ્તક છાપવાથી પીછેહઠ કરતાં, ઘણા ભારતીય પ્રકાશકો પુસ્તકના પ્રકાશન અધિકારો માટે સ્પર્ધા કરી રહ્યા છે. અહેવાલો સૂચવે છે કે હાર્પરકોલિન્સ ઇન્ડિયા પુસ્તકના પ્રકાશન અને વિતરણ માટે કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે. આ પુસ્તક 10 નવેમ્બરના રોજ રિલીઝ થવાનું છે. તેના પ્રકાશનની જાહેરાત સૌપ્રથમ અમેરિકા સ્થિત પ્રકાશન ગૃહ આલ્ફ્રેડ એ. નોફ્ફ દ્વારા કરવામાં આવી હતી, જે પૅન્ગવિન રેન્ડમ હાઉસનો પણ ભાગ છે.
આલ્ફ્રેડ એ. નોફ્ફે જાહેરાત કરી હતી કે પ્રથમ છાપકામમાં 100,000 નકલો હશે. અહેવાલો જણાવે છે કે આ બાબતે નોફ્ફ અને સોનિયા ગાંધીના એજન્ટ ડેવિડ ગોડવિનને પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેમની તરફથી કોઈ ટિપ્પણી મળી ન હતી. પૅન્ગવિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાના સીઈઓ ગૌરવ શ્રીનાગેશને પણ હસ્તપ્રતમાં વિનંતી કરાયેલા ફેરફારો અને કાપ વિશે પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેમણે પણ કોઈ ટિપ્પણી કરી ન હતી.
સોનિયા ગાંધીએ ભૂતકાળમાં પણ પુસ્તકો લખ્યા અને સંપાદિત કર્યા છે. જોકે, પ્રોજેક્ટ પર કામ કરનારાઓના મતે, આ તેમના જીવનનો સૌથી વ્યક્તિગત અને અધિકૃત અહેવાલ છે. નોફ્ફે તેને વિશ્વની અગ્રણી મહિલા હસ્તીઓમાંની એક દ્વારા લખાયેલ સંસ્મરણ તરીકે વર્ણવ્યું. તે તેમના જીવનનો ઇતિહાસ દર્શાવે છે, જેમાં પ્રેમ, પરિવાર અને ભારત સાથેની તેમની યાત્રાના વિષયોનો સમાવેશ થાય છે. આ વર્ષની શરૂઆતમાં, PRHI એ ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમ. એમ. નરવણેની આત્મકથા, ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ અંગે પણ એક નિવેદન બહાર પાડ્યું હતું. PRHI એ જણાવ્યું હતું કે તેણે પુસ્તક પ્રકાશિત કર્યું નથી. જોકે, રાહુલ ગાંધીએ તેની હાર્ડ કૉપી સંસદમાં પ્રદર્શિત કરી હતી. પુસ્તકના અંશોમાં ગલવાનમાં ભારત-ચીન અથડામણ અને અગ્નિપથ યોજના અંગે જનરલ નરવણેના અહેવાલો જાહેર થયા હતા.