04 June, 2026 02:19 PM IST | Kerala | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ પીટીઆઇ
હીટવેવની વચ્ચે ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department)એ એક સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાએ કેરળ (Kerala)માં દસ્તક આપી દીધી છે અને કેરળના ઘણા ભાગોમાં ગઈ કાલ રાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD)એ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, ચોમાસું ભારતમાં પ્રવેશી ચૂક્યું છે. કેરળમાં ચોમાસાના આગમન (Southwest Monsoon Kerala 2026)ની સાથે જ હવે લોકોની નજર એ વાત પર ટકેલી છે કે દિલ્હી-એનસીઆર (Delhi – NCR) અને દેશના અન્ય ભાગોમાં ક્યારે ગરમીથી રાહત મળશે. આ અંગે હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી બેથી ચાર દિવસમાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને દિલ્હી (New Delhi) સહિત દેશના અન્ય ભાગોમાં પણ ગરમીથી રાહત મળવાના અણસાર છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગળ વધવા અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ૩ થી ૪ દિવસમાં ચોમાસું કર્ણાટક (Karnataka) સરહદથી આગળ વધીને ગોવા (Goa)ના અક્ષાંશ રેખા સુધી પહોંચશે. ચોમાસા (Monsoon 2026)ને આગળ વધવા માટે જે પ્રકારની મોસમી પરિસ્થિતિઓની જરૂર હોય છે, તે હાલમાં સંપૂર્ણપણે સાનુકૂળ દેખાઈ રહી છે. જો કે, આઈએમડીના વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે ૧૦ જૂન પછી ચોમાસાની પ્રગતિ ધીમી થવાની સંભાવના છે.
ચોમાસાના આગમનની સાથે જ હવામાન વિભાગે ગુરુવારે સવારે ત્રણ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ અલપ્પુઝા (Alappuzha), કોટ્ટાયમ (Kottayam) અને એર્નાકુલમ (Ernakulam) જિલ્લા માટે ત્રણ કલાક સુધી પ્રભાવી રહેશે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સાથે ગાજવીજ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદ અને ગાજવીજ દરમિયાન જમીન સપાટી પર પવનની મહત્તમ ગતિ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તિરુવનંતપુરમ (Thiruvananthapuram), કોલ્લમ (Kollam), પથાનમથિટ્ટા (Pathanamthitta), ઇડુક્કી (Idukki) અને ત્રિશૂર (Thrissur) જિલ્લામાં મધ્યમ વરસાદનું અનુમાન છે, જ્યાં પવનની ગતિ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે.
આઈએમડીએ અગાઉ ગુરુવાર માટે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. અહીં ઓરેન્જ એલર્ટનો અર્થ ૧૧ થી ૨૦ સેન્ટીમીટર સુધીનો ખૂબ જ ભારે વરસાદ થાય છે.
ચોમાસાના આગમન છતાં હવામાન વિભાગનું કહેવું છે કે આજે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં ભીષણ ગરમી લોકોની પરીક્ષા લેશે તેવી સંભાવના છે. ઉત્તરીય દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભીષણ લૂ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. આંધ્રપ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (APSDMA)એ જણાવ્યું કે બુધવારે ઘણા જિલ્લાઓમાં તાપમાન ઘણું ઊંચું રહ્યું હતું.
એપીએસડીએમએના ડિરેક્ટર પ્રખર જૈનના જણાવ્યા અનુસાર, આજે ૪૬ મંડલોમાં ભીષણ લૂની સંભાવના છે અને આવતીકાલે આ સંખ્યા ૮૫ મંડલો સુધી પહોંચી શકે છે. આ દરમિયાન એલુરુ, પોલાવરમ અને ગુન્ટૂરમાં તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. વિદર્ભ (Vidarbha)થી તમિલનાડુ (Tamil Nadu) સુધી ફેલાયેલી ટ્રફ લાઇનના પ્રભાવથી આજે કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે. પ્રખર જૈને લોકોને લૂથી સાવધ રહેવા, પૂરતું પાણી પીવા અને ગાજવીજ દરમિયાન ઝાડ નીચે આશ્રય ન લેવાની સલાહ આપી છે.