09 June, 2026 09:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં નોંધ્યું છે કે પુખ્ત વયના બે અપરિણીત લોકો વચ્ચે પરસ્પર સંમતિથી બંધાયેલા શારીરિક સંબંધ કોઈ વ્યક્તિના ખરાબ ચારિયનું પ્રમાણ ન બની શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દરેક સંબંધ લગ્નમાં પરિણમતો નથી એથી માત્ર સંબંધ લગ્ન સુધી ન પહોંચ્યો એના આધારે એવું ન માની શકાય કે એક પક્ષે બીજા સાથે છેતરપિંડી કરી છે.
જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે તેલંગણ સ્ટેટ લેવલ પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડને એક ઉમેદવારની નિમણૂક કરવાનો નિર્દેશ આપતાં આ ટિપ્પણી કરી હતી. આ ઉમેદવારની પોલીસ-કૉન્સ્ટેબલ તરીકેની પસંદગી એક જૂના ફોજદારી કેસને કારણે રદ કરવામાં આવી હતી.
૨૦૧૪માં આ ઉમેદવાર પર પાડોશમાં રહેતી મહિલા સાથે લગ્નની લાલચ આપીને બળાત્કાર કરવાનો આરોપ હતો, જે બાદમાં ૨૦૧૫માં લોકઅદાલતમાં સમાધાન દ્વારા ઉકેલાયો હતો. આ કેસમાં કોઈ ચાર્જશીટ થઈ નહોતી છતાં બોર્ડે ખરાબ ચારિત્ર્યનું કારણ આપીને નિમણૂક અટકાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે ઉમેદવારની અપીલ સ્વીકારીને જણાવ્યું હતું કે સંમતિથી સંબંધ બાંધતા અપરિણીત યુગલને રોકતો કોઈ કાયદો નથી એથી આના આધારે વ્યક્તિનું ચારિય ખરાબ હોવાનું કહી ન શકાય અને ઉમેદવારની ભરતી ન કરવાનો બોર્ડનો નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે.