બિનઆરોગ્યપ્રદ ખોરાક માટે પૅક પર ચેતવણીનું લેબલ લગાડવા વિશે સુપ્રીમ કોર્ટે FSSAIને આપી છેલ્લી તક

15 August, 2026 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેન્ચે ચેતવણી આપી હતી કે જો સરકાર કાર્યવાહી નહીં કરે તો કોર્ટ પોતાના નિર્દેશો જારી કરશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ભારતના ફૂડ રેગ્યુલેટર ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ને ખાંડ, મીઠું અને સૅચ્યુરેટેડ ફૅટના પૅકેજ્ડ ખોરાક પર સ્પષ્ટ ચેતવણી-લેબલ લગાડવાની અનિચ્છા બદલ કડક ઠપકો આપ્યો હતો. FSSAIના પ્રસ્તાવિત આંકડાકીય કોષ્ટકોની અપૂરતી ટીકા કરતાં કોર્ટે સ્થૂળતા અને ડાયાબિટીઝના વધતા દરનો ઉલ્લેખ કર્યો છે અને ચેતવણી આપી છે કે જો સરકાર બે અઠવાડિયાંમાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય તો એ હસ્તક્ષેપ કરશે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે શું FSSAI ખાદ્ય ઉદ્યોગના દબાણ સામે ઝૂકી રહી છે? શું ખાદ્ય નિયમનકારી સત્તા લોકો સ્વસ્થ રહે એવું ઇચ્છતી નથી?

સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે ચેતવણી આપી હતી કે જો સરકાર કાર્યવાહી નહીં કરે તો કોર્ટ પોતાના નિર્દેશો જારી કરશે. સુનાવણી સમયે બેન્ચે કહ્યું હતું કે કૉર્પોરેટ ગૃહો તરફથી તમારા પર ભારે દબાણ છે અને તમે એ દબાણને વશ થઈ રહ્યા છો પણ આ તમારી છેલ્લી તક છે, આગલી વખતે અમે નિર્ણય લખીશું.

supreme court food and drug administration national news news india