CJP આંદોલનમાં પોલીસ કાર્યવાહી સામે SCએ આપ્યા સ્વતંત્ર તપાસના આદેશ, પ્રદર્શનકારીઓ સામે કડક પગલાં લેવા પર રોક

28 July, 2026 02:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Supreme Court CJP protests: કૉકરોચ જનતા પાર્ટી આંદોલન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત અત્યાચારો, બળપ્રયોગની સ્વતંત્ર તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો; અદાલતે પ્રદર્શનકારીઓ સામે કોઈ પણ કડક કે બળજબરીપૂર્વકની કાર્યવાહી કરવા પર રોક લગાવી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ મંગળવારે કૉકરોચ જનતા પાર્ટી (Cockroach Janta Party) સાથે જોડાયેલા તાજેતરના દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કથિત અતિશયોક્તિ અને બળપ્રયોગની સ્વતંત્ર તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ અદાલતે દેશભરના સત્તાધિકારીઓને આદેશ આપ્યો છે કે, આગામી આદેશ સુધી પ્રદર્શનકારીઓ સામે કોઈ પણ કડક કે બળજબરીપૂર્વકની કાર્યવાહી કરવામાં ન આવે. કોર્ટે ગુનાહિત પૃષ્ઠભૂમિ ન ધરાવતા અટકાયત કરાયેલા સગીરોને તાત્કાલિક મુક્ત કરવાનો પણ આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે પોલીસ કાર્યવાહીની સ્વતંત્ર તપાસના આદેશ આપ્યા

આંદોલન સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે (Supreme Court CJP protests) જણાવ્યું હતું કે, દિલ્હી અને અન્ય કેટલાક રાજ્યોમાંથી સામે આવેલી ઘટનાઓની નિષ્પક્ષ, પારદર્શી અને સ્વતંત્ર તપાસ જરૂરી છે. ખંડપીઠે સંકેત આપ્યો હતો કે પોલીસ કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી શકે છે.

કોર્ટે નોંધ્યું હતું કે જો વિરોધ પ્રદર્શનો દરમિયાન કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ કે નિયમોનું ઉલ્લંઘન થયું હોય, તો નિષ્પક્ષ તપાસ દ્વારા જવાબદાર વ્યક્તિઓની ઓળખ થવી જરૂરી છે. આ ઉપરાંત તપાસ હેતુસર આંદોલન સાથે જોડાયેલા ડિજિટલ પુરાવાઓને સુરક્ષિત રાખવા માટે પણ સત્તાધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી પર રોક

વચગાળાના રાહત પગલા તરીકે, સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોની પોલીસ અને તંત્રને નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી કેસ અદાલતના વિચારાધીન છે ત્યાં સુધી પ્રદર્શનકારીઓ સામે કોઈ કડક પટલાં ન લેવામાં આવે. આ રક્ષણ દેશભરના પાત્ર પ્રદર્શનકારીઓને આવરી લે છે જેથી તેમની ગેરકાયદેસર અટકાયત કે દંડાત્મક કાર્યવાહી ન થાય.

અટકાયત કરાયેલા સગીરોને તાત્કાલિક મુક્ત કરવા આદેશ

કોર્ટે ૧૮ વર્ષથી ઓછી વયના તમામ અટકાયત કરાયેલા પ્રદર્શનકારીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, શરત માત્ર એટલી છે કે તેમની સામે કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ ન હોવો જોઈએ. આ સાથે જ સગીરો સાથે બાળ ન્યાય કાયદા (જુવેનાઈલ જસ્ટિસ એક્ટ) મુજબ જ વ્યવહાર કરવામાં આવે તેવી પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને રાહત નહીં

વચગાળાની રાહતની મર્યાદા સ્પષ્ટ કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ રક્ષણ અસામાજિક તત્વો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓને મળશે નહીં. ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે આ નિર્દેશો શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરનારાઓના રક્ષણ માટે છે અને તેનો ઉપયોગ ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા લોકો ઢાલ તરીકે કરી શકશે નહીં.

જંતર મંતર પર વિરોધ અને દેશવ્યાપી પ્રદર્શનો

નીટ (NEET) પેપર લીક વિવાદ બાદ અનેક રાજ્યોમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોના સંદર્ભમાં કોર્ટે આ આદેશ આપ્યો છે. દિલ્હીના જંતર મંતર ખાતે એકઠા થયેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના અહેવાલો બાદ આ આંદોલન વધુ તેજ બન્યું હતું, જેના પગલે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી.

અરજદારોએ આરોપ લગાવ્યો હતો કે પ્રદર્શનકારીઓ પર વધુ પડતું બળપ્રયોગ કરવામાં આવ્યું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધ એ લોકશાહીનો એક અભિન્ન ભાગ છે. હવે સત્તાધિકારીઓ પોતાના જવાબો રજૂ કરે તે પછી આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

supreme court neet exam cockroach janata party mumbai police delhi police national news news