01 August, 2026 08:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કોર્ટે સજા સંભળાવ્યા પછી તાહિર હુસૈન
ફેબ્રુઆરી ૨૦૨૦માં દિલ્હીનાં રમખાણો દરમ્યાન ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ૨૬ વર્ષના ઑફિસર અંકિત શર્માની નૃશંસ હત્યા કરવા બદલ આમ આદમી પાર્ટી (AAP)ના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય ૪ દોષીઓને શુક્રવારે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા સંભળાવતી વખતે કોર્ટે આ ગુનાને અત્યંત નિર્દયતાપૂર્ણ ગણાવીને ટિપ્પણી કરી હતી કે અંકિત શર્માના મૃતદેહને પશુની જેમ ઢસડવામાં આવ્યો હતો જે અત્યંત દર્દનાક અને ઘૃણાસ્પદ હતું.
ચાર્જશીટ મુજબ ૨૦૨૦ની પચીસ ફેબ્રુઆરીએ દયાલપુર વિસ્તારમાં બે જૂથો વચ્ચેનો તનાવ શાંત પાડવાનો પ્રયાસ કરી રહેલા અંકિત શર્માને તોફાની ટોળાએ ઘેરી લીધા હતા. તેમની દયાહીન હત્યા કર્યા બાદ મૃતદેહને નજીકના નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો.
આ ચુકાદા બાદ રાજકીય વિવાદ છેડાયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આક્ષેપ કર્યો હતો કે AAP રમખાણખોરોની પાર્ટી છે. દિલ્હીના કાયદાપ્રધાન કપિલ મિશ્રાએ ચુકાદાને આવકારીને હાઈ કોર્ટમાં આ આજીવન કેદની સજાને મૃત્યુદંડમાં બદલવાની આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ તાહિર હુસૈને દિલ્હી હાઈ કોર્ટમાં આ નિર્ણય સામે અપીલ કરવાની જાહેરાત કરી છે.