13 October, 2025 03:06 PM IST | Agra | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના આગ્રા (Agra) માં આવેલા વિશ્વપ્રસિદ્ધ તાજ મહેલ (Taj Mahal) માં ધૂમાડાના ગોટે ગોટે ઉઠતાં અફરા-તફરી મચી હતી. તાજ મહેલના દક્ષિણ દરવાજામાંથી અચાનક ધુમાડો નીકળ્યો. પછી ખબર પડી કે શોર્ટ સર્કિટને લીધે આગ (Taj Mahal fire) લાગી હતી.
આગ્રામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ તાજ મહેલના દક્ષિણ દરવાજા પાસે રવિવારે આગ લાગી હતી. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. ઘટનાસ્થળે હાજર કર્મચારીઓએ તાત્કાલિક ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India - ASI) ના અધિકારીઓ અને ટોરેન્ટ પાવર (Torrent Power) ને જાણ કરી. સોશ્યલ મીડિયા (Social Media) પર આ દુર્ઘટનાના અનેક વીડિયો વાયરલ (Viral Video) થયા છે.
તાજ મહેલના દક્ષિણ દરવાજા ઉપરની છત પરના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી તણખા અને ધુમાડાના ગોટેગોટા ઝડપથી ફેલાઈ ગયા. ઘટના સ્થળે હાજર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના કર્મચારીઓએ તાત્કાલિક વીજ પુરવઠો કાપી નાખ્યો.
તાજ મહેલ કેમ્પસમાં આગ લાગવાની માહિતી મળતાં, ટોરેન્ટ પાવરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બે કલાક બંધ રહ્યા બાદ વાયરિંગનું સમારકામ કરીને આગ પર કાબુ મેળવ્યો. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈને નુકસાન થયું નથી.
રવિવારે સવારે ૮.૦૦ વાગ્યાની આસપાસ ટોરેન્ટ પાવરની LT લાઇનમાં તણખા પડ્યા હતા. માહિતી મળતાં, ટોરેન્ટ પાવરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સમસ્યાનું સમારકામ કર્યું. કોઈ મોટી સમસ્યા નહોતી. ઇમારત અને પરિસર સંપૂર્ણપણે સુરક્ષિત છે.
અહેવાલો અનુસાર, તાજ મહેલના દક્ષિણ દરવાજાની જમણી બાજુએ ચેમ્બરની ઉપરથી એક ઇલેક્ટ્રિક પાવર લાઇન પસાર થઈ હતી. તે લાઇન પરનો એક સાંધા અચાનક સ્પાર્ક થયો, જેના કારણે ધુમાડો ફેલાઈ ગયો. પ્લાસ્ટિક જોઈન્ટમાં આગ લાગવાથી થોડા સમય માટે ધુમાડાના વાદળ છવાઈ ગયા.
સાવચેતી રૂપે, ટોરેન્ટ પાવરે સમારકામ માટે બે કલાક માટે બંધ કરી દીધું. આ જ લાઇન તાજ મહેલને પણ વીજળી પૂરી પાડે છે. સમારકામ દરમિયાન વીજળી ખોરવાઈ ગઈ હતી, પરંતુ તાજ મહેલને તરત જ UPS દ્વારા વીજળી પૂરી પાડવામાં આવી હતી. આગથી તાજમહેલની સુરક્ષા કે અન્ય સુવિધાઓ પર કોઈ અસર થઈ નથી.
ASI અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી, અને યુપીએસ (UPS) સિસ્ટમ દ્વારા અવિરત વીજ પુરવઠો જાળવી રાખવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાજ મહેલનો દક્ષિણ દરવાજો વર્ષ ૨૦૧૮ થી પ્રવાસીઓ માટે બંધ છે. સુરક્ષા કારણોસર, આ દરવાજેથી પ્રવેશ પર પ્રતિબંધ છે. એટલે અહીં કોઈ મુલાકાતીઓ નહોતા.
હાલમાં, પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
નોંધનીય છે કે, દુનિયામાં જે સાત અજાયબી છે તેમાં આગ્રાના તાજ મહેલનો પણ સમાવેશ થાય છે. મુઘલ બાદશાહ શાહજહાંએ સન ૧૬૫૨ની આસપાસ પોતાની પ્રિય બેગમ મુમુતાઝ મહેલ માટે તાજ મહેલ બંધાવ્યો હતો.