16 June, 2026 02:55 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પેપર લીક અને પરીક્ષામાં ચોરી કરાવતી ટોળકીઓ પર લગામ કસવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત, ભારતમાં મેસેજિંગ એપ ટેલિગ્રામ (Telegram) પર સત્તાવાર રીતે કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની સીધી ભલામણો બાદ મંગળવારથી આ પ્રતિબંધ અમલમાં આવી ગયો છે. આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) ૨૦૨૬ની પુનઃપરીક્ષાને ધ્યાનમાં રાખીને દેશભરમાં આ એપ ૨૨ જૂન સુધી સ્થગિત (Telegram app restrictions) રહેશે.
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦ની કલમ ૬૯A હેઠળ આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, NEET (UG) ૨૦૨૬ની પુનઃપરીક્ષા અને તેના પછીના તરતના દિવસોને આવરી લેતા મર્યાદિત સમયગાળા એટલે કે ૨૨ જૂન, ૨૦૨૬ સુધી ટેલિગ્રામના એક્સેસ પર રોક લગાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત, અગાઉ પોસ્ટ કરાયેલા મેસેજીસને એડિટ કરવાના ફીચર (મેસેજ-એડિટિંગ ફીચર) ને પણ ભારતમાં ૩૦ જૂન, ૨૦૨૬ સુધી ડિસેબલ (બંધ) કરવાનો આદેશ પ્લેટફોર્મને આપવામાં આવ્યો છે. આ એ જ ફીચર છે જેનો ઉપયોગ રાષ્ટ્રીય પરીક્ષાઓ પૂરી થયા બાદ ખોટા `પેપર લીક` ના પુરાવા ઊભા કરવા માટે કરવામાં આવતો હતો.
એનટીએ (NTA)ના જણાવ્યા અનુસાર, કેટલીક તાજેતરની પરીક્ષાઓને નિશાન બનાવીને પેપર લીકના ખોટા દાવા કરવામાં આવ્યા હતા. આ ટોળકીના સંચાલકો (ચેનલ એડમિનિસ્ટ્રેટર્સ) પરીક્ષા પૂરી થયા પછી જૂના અને અસંબંધિત મેસેજીસને એડિટ કરીને તેમાં અસલી પ્રશ્નપત્ર ઉમેરી દેતા હતા. આનાથી એવો ખોટો ભ્રમ ઊભો થતો હતો કે પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થયા પહેલાં જ સોશિયલ મીડિયા પર ફરી રહ્યું હતું. ત્યારબાદ આ એડિટ કરેલી ચેટ્સના સ્ક્રીનશોટ્સ ઓનલાઈન વાયરલ કરીને પેપર લીક થયાના ખોટા પુરાવા તરીકે રજૂ કરવામાં આવતા હતા.
વારંવાર આવી ચેનલોને હટાવવાની વિનંતીઓ કરવા છતાં પ્લેટફોર્મ સ્તરે યોગ્ય પાલન ન થતાં, છેવટે અંતિમ પગલા તરીકે આ કામચલાઉ પ્રતિબંધ લાદવો પડ્યો છે.
આ અગાઉ, ગૃહ મંત્રાલય હેઠળની ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર (I4C) એ નોડલ એજન્સી તરીકે કામ કરીને અનેક નકલી ચેનલો, ગ્રૂપ્સ અને બોટ્સને બંધ કરાવ્યા હતા. બિહાર, ગુજરાત અને રાજસ્થાનની કાયદા અમલીકરણ એજન્સીઓએ આ અંગે સતત ઇનપુટ્સ આપ્યા હતા. "PAPER LEAKED NEET" અને "Private Mafia" જેવા નામોથી ચાલતી આ ચેનલો વિદ્યાર્થીઓના પરિવારો પાસેથી હજારોથી લઈને લાખો રૂપિયાની માંગણી કરતી હતી.
હાલમાં જ અમદાવાદ સિટી સાયબર ક્રાઇમ બ્રાન્ચે આવી ૮ ચેનલો ચલાવતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેમના ખાતાઓમાં આશરે ૧.૫ કરોડ રૂપિયાની નાણાકીય લેવડદેવડ મળી આવી છે. આ સમગ્ર મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) પણ તપાસ ચલાવી રહી છે અને અત્યાર સુધીમાં ઘણી ધરપકડો કરવામાં આવી છે.
આ પ્રતિબંધના કારણે ટેલિગ્રામનો અંગત કે વ્યાવસાયિક ઉપયોગ કરતા લાખો સામાન્ય યુઝર્સને થનારી અગવડતાનો NTA એ સ્વીકાર કર્યો છે. જો કે, એજન્સીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ૨૧ જૂને યોજાનારી આ પુનઃપરીક્ષાની સુરક્ષા સંપૂર્ણપણે અભેદ્ય છે અને કોઈ પણ પ્રશ્નપત્ર સુરક્ષિત સાંકળની બહાર ઉપલબ્ધ નથી. આ પરીક્ષામાં આશરે ૧ લાખ વિદ્યાર્થીઓ બેસવાના છે અને અત્યાર સુધીમાં અંદાજે ૧,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. ઉમેદવારો સાથે થતી છેતરપિંડી રોકવા અને જાહેર વ્યવસ્થા જાળવી રાખવા માટે આ બંને કડક પગલાં લેવામાં આવ્યા છે.