જમીનના વિવાદમાં દીકરાએ પિતાની ગોળી મારીને હત્યા કરી

18 July, 2026 08:35 AM IST  |  Ghaziabad | Gujarati Mid-day Correspondent

આ કેસમાં મોદીનગરના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર ભાસ્કર વર્માએ જણાવ્યું હતું કે નિખિલને દારૂનું વ્યસન હતું અને પિતા તેને વારંવાર ઠપકો આપતા હતા

પિતા હરિઓમ ચૌધરી દીકરા સાથે

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મોદીનગરમાં બુધવારે મોડી રાત્રે પ્રૉપર્ટીના ઝઘડા બાદ ૩૨ વર્ષના દીકરાએ નશાની હાલતમાં તેના બાવન વર્ષના પિતાને ગોળી મારીને હત્યા કરી હતી. ચાર ગોળીઓ ચલાવ્યા બાદ તે હથિયાર લઈને ભાગી ગયો હતો. ચાર ટીમ બનાવીને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને હત્યાની તપાસ શરૂ કરી છે.

હરિઓમ ચૌધરી બુડાના ગામમાં મોદીનગર પોલીસ સ્ટેશન પાસે રહેતા હતા. તેઓ આ વિસ્તારના સૌથી ધનિક ખેડૂતોમાંના એક હતા. દિલ્હી-મેરઠ રોડ પર તેઓ એક માર્કેટના માલિક હતા અને મોદીનગરમાં તેમની ૭૫ વીઘા જમીન હતી. એવું માનવામાં આવે છે કે તેમની પ્રૉપર્ટી આશરે ૧૫૦ કરોડ રૂપિયાની છે. તેમના પરિવારમાં તેમની પત્ની અનિતા, મોટો પુત્ર ​નિખિલ અને નાનો પુત્ર નિશુ છે. ૨૦૧૮માં એક ઝઘડા બાદ નિખિલે નાના ભાઈ નિશુ પર પણ ગોળીબાર કર્યો હોવાનો આરોપ છે. પોલીસ આ મામલાની પણ તપાસ કરી રહી છે.

આ કેસમાં મોદીનગરના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર ભાસ્કર વર્માએ જણાવ્યું હતું કે નિખિલને દારૂનું વ્યસન હતું અને પિતા તેને વારંવાર ઠપકો આપતા હતા. ચૌધરી પાસેથી તેને ૨૫ વીઘા જમીન અને બજારના સ્ટૉલ મળ્યા હતા, પરંતુ નિખિલ ઇચ્છતો હતો કે બાકીની જમીન તેના નામે કરી દેવામાં આવે. તેના પિતાએ આ માટે ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે તે દારૂમાં બધું વેડફી નાખશે.

બુધવારે રાત્રે હરિઓમ ચૌધરીએ તેની પત્ની અને નાના દીકરા સાથે ડિનર કર્યું હતું. નિખિલ ઘરે મોડો આવ્યો હતો અને તે દારૂના નશામાં હતો. પિતાએ આ માટે ઠપકો આપ્યો, જેના કારણે ઝઘડો થયો હતો અને નિખિલે રિવોલ્વર કાઢીને પિતા પર ગોળીઓ છોડી હતી. હરિઓમના શરીર પર ચારથી છ ગોળીઓનાં નિશાન હતાં.

uttar pradesh ghaziabad murder case Crime News national news news