ભારતના ટાઇગરમૅન વાલ્મિક થાપરનું ૭૩ વર્ષની વયે અવસાન

01 June, 2025 12:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વાઘના અભ્યાસ અને સંરક્ષણ માટે જીવન સમર્પિત કર્યું

વાલ્મિક થાપર

ટાઇગરમૅન તરીકે જાણીતા વાલ્મિક થાપરનું ૭૩ વર્ષની વયે ગઈ કાલે સવારે દિલ્હીના તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. લાંબા સમયથી તેઓ કૅન્સરની બીમારીથી પીડિત હતા. ૧૯૫૨માં દિલ્હીમાં જન્મેલા વાલ્મિક થાપરે વાઘના અભ્યાસ અને સંરક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે ૧૯૮૮માં રણથંભોર ફાઉન્ડેશનની સહ-સ્થાપના કરી જે સમુદાયઆધારિત સંરક્ષણ પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરતું સ્વૈચ્છિક સંગઠન છે. તેમણે ભારતના વાઘોને વિશ્વમાં ઓળખ અપાવી હતી.

વાલ્મિક થાપરે વન્યજીવન પર ૩૦થી વધુ પુસ્તકો લખ્યાં અથવા સંપાદિત કર્યાં, જેમાં ‘લૅન્ડ ઑફ ધ ટાઇગર : અ નૅચરલ હિસ્ટરી ઑફ ધ ઇન્ડિયન સબકૉન્ટિનેન્ટ’ (૧૯૯૭) અને ‘ટાઇગર ફાયર : 500 યર્સ ઑફ ધ ટાઇગર ઇન ઇન્ડિયા’નો સમાવેશ થાય છે. તેમણે BBC સહિત અનેક ચૅનલો માટે ઘણી પ્રખ્યાત ફિલ્મો રજૂ કરી છે અને સહ-નિર્માણ પણ કર્યું છે.

પિતા રોમેશ થાપર એક જાણીતા પત્રકાર હતા

વાલ્મિક થાપરના પિતા રોમેશ થાપર એક જાણીતા પત્રકાર હતા અને તેમનાં કાકી ઇતિહાસકાર રોમિલા થાપર છે. વાલ્મિક થાપરે દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કૉલેજમાંથી સમાજશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમનાં લગ્ન શશી કપૂરની પુત્રી અને થિયેટર-કલાકાર સંજના કપૂર સાથે થયાં હતાં અને તેમને એક પુત્ર છે.

cancer celebrity death television news national news news wildlife world environment day environment