29 November, 2021 02:32 PM IST | New Delhi | Agency
પ્રતીકાત્મક તસવીર
કોરોનાના નવા વેરિઅન્ટને ટ્રેક કરી રહેલા સાઉથ આફ્રિકન સાયન્ટિસ્ટ્સ માને છે કે લાંબા સમય સુધી કોરોનાથી સંક્રમિત એચઆઇવી-એઇડ્ઝના પેશન્ટમાં આ નવો વેરિઅન્ટ ઉદ્ભવ્યો હોઈ શકે છે. સાયન્ટિસ્ટ્સનું કહેવું છે કે લાંબા સમય સુધી કોરોનાથી સંક્રમિત પેશન્ટમાં કોઈ નવો વેરિઅન્ટ ઉદ્ભવ્યો હોય એમ આ કંઈ પહેલી વખત બન્યું નથી. અન્ય વેરિઅન્ટ્સ પણ આ રીતે જ પેદા થયા છે. એચઆઇવી કે કૅન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરનારા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હોય છે. જેના લીધે તેમનું શરીર લાંબા સમય સુધી આ વાઇરસનો સામનો કરે છે. જે સમયગાળામાં વાઇરસને ઇન્વૉલ્વ થવાની તક મળે છે.
આ નવા વેરિઅન્ટના ફેલાવા વિશે દુનિયાને સૌપ્રથમ અલર્ટ કરનારી ટીમમાં સામેલ પ્રોફેસર રિચર્ડ લેસેલ્સે જણાવ્યું હતું કે ટ્રીટમેન્ટ મેળવ્યા વિનાના એચઆઇવી-એઇડ્ઝના દરદીમાં આ નવો વેરિઅન્ટ ઉદ્ભવ્યો હોવાનું જણાય છે. સીઓજી-યુકે જિનોમિક્સ યુકે કૉન્સોર્ટિયમના ડિરેક્ટર પ્રોફેસર શેરોન પીકોકે કહ્યું હતું કે ‘આ નવા વેરિઅન્ટના જિનેટિક ફેરફારથી ખ્યાલ આવે છે કે એ એવી વ્યક્તિમાં ઉદ્ભવ્યો છે કે જે કોરોનાથી સંક્રમિત હતો, પરંતુ તેના શરીરમાં આ વાઇરસ નાબૂદ નહોતો થયો. જેના લીધે આ વાઇરસને જિનેટિકલી ઇન્વૉલ્વ થવાનો ચાન્સ મળ્યો હતો.’