13 April, 2026 01:41 PM IST | Lakhimpur Kheri | Gujarati Mid-day Correspondent
વનવિભાગની ટીમે આવીને મૃત ગીધ પોસ્ટમૉર્ટમ કરાવવા માટે મોકલી આપ્યાં હતાં
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી પાસેના સેમરિયા ગામના એક ખેતરમાં એકસાથે ૨૫ ગીધોનાં શબ મળી આવ્યાં હતાં. ગામવાળાઓએ એક કૂતરો વારંવાર બકરીઓ પર હુમલો કરતો હોવાથી એને મારવા માટે ઝેરી પેસ્ટિસાઇડ્સ મેળવેલા ભાત ખવડાવી દીધા હતા. ઝેરી ભાત ખાઈને કૂતરો મરી ગયો હતો. જોકે મરેલા કૂતરાને ખુલ્લા ખેતરમાં પડેલો જોઈને ગીધોનું ટોળું ત્યાં આવી પડ્યું. ગામવાળાઓને પણ નવાઈ લાગી અને આટલાંબધાં ગીધોને આસમાનમાંથી ઊતરી પડેલાં જોઈને ખુશ થઈ ગયા હતા. જોકે આ ખુશી બહુ ટકી નહોતી.
કૂતરાનું માંસ ઝેરી દવાને કારણે ઝેરી થઈ ચૂક્યું હતું અને એ માંસ જેણે ખાધું એ ગીધો પર પણ ઝેરની અસર થોડી વારમાં થવા માંડી. એક પછી એક લગભગ પચીસ ગીધોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. આ વિસ્તાર દૂધવા ટાઇગર રિઝર્વ બફર ઝોનમાં આવે છે. તરત જ વનવિભાગની ટીમે આવીને મૃત ગીધ પોસ્ટમૉર્ટમ કરાવવા માટે મોકલી આપ્યાં હતાં. હજી અન્ય પાંચ ગીધ બીમાર છે.