23 May, 2026 12:20 PM IST | Jaisalmer | Gujarati Mid-day Correspondent
આ તળાવ જેસલમેર અને બાડમેર એમ બે શહેરોને ૩૬૫ દિવસ પાણી પૂરું પાડશે
રાજસ્થાનના જેસલમેરમાં જલ જીવન મિશન (JJM) અંતર્ગત ૨૪૨ કરોડ રૂપિયાના ખર્ચે સૌથી મોટું આર્ટિફિશ્યલ તળાવ તૈયાર થઈ ગયું છે. આ તળાવ હવે વરસાદના પાણીને સહજતાથી સંઘરી શકશે અને એને કારણે જેસલમેર શહેરના લોકોની બારે માસની પાણીની સમસ્યા ટળી જશે. આ ઐતિહાસિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન જુલાઈ મહિનામાં થશે. આ તળાવ જેસલમેર અને બાડમેર એમ બે શહેરોને ૩૬૫ દિવસ પાણી પૂરું પાડશે. આ માટે ૨૮ કિલોમીટર લાંબું અને ૩૩ ફુટ ઊંડું તળાવ ખોદવામાં આવ્યું છે. આ તળાવના એક છેડાથી બીજા છેડે તરીને જવું હોય તો ૨૪ કલાક લાગે. રણની માટીમાં પાણી શોષાઈ ન જાય એ માટે તળાવ ખોદ્યા પછી એની નીચે ૩૦૦ માઇક્રોનની સ્પેશ્યલ પ્લાસ્ટિક શીટ પાથરવામાં આવી છે. એને કારણે વરસાદનું સંઘરાયેલું પાણી જમીનમાં શોષાતું અટકશે. આ તળાવમાં ઇન્દિરા ગાંધી નહેરમાંથી આવેલું વરસાદી પાણી સ્ટોર કરવામાં આવશે. એ પછી ફિલ્ટર પ્લાન્ટ્સ થકી આ જ પાણી રણવિસ્તારનાં બન્ને શહેરોમાં ઘરે-ઘરે પહોંચશે.