ઐતિહાસિક કિલ્લામાંથી ૪૦૦ વર્ષ જૂની ૩૦૦૦ કિલોની અષ્ટધાતુની બનેલી તોપ ચોરાઈ ગઈ

18 July, 2026 03:19 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

પોલીસના કહેવા અનુસાર પચીસથી ૩૦ બદમાશોએ કિલ્લામાં ક્રેન અને ટ્રક જેવાં મશીનો સાથે ઘૂસીને ચોરીનું કામ પાર પાડ્યું હતું

ચોરાયેલી તોપ ૧૬મી સદીની છે

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના નરવર કિલ્લામાં રાજવંશની ૪૦૦ વર્ષ જૂની અષ્ટધાતુની દુર્લભ તોપો રાખવામાં આવી છે. એમાંથી એક તોપ કેટલાક હથિયારબંધ લોકોએ ચોરી કરી લેતાં કિલ્લાની સુરક્ષાવ્યવસ્થા અને પુરાતત્ત્વ વિભાગના મૅનેજમેન્ટ પર સવાલ ઊભો થયો છે. આ કિલ્લામાં ૧૪ તોપ રાખવામાં આવી હતી. આ તમામ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી તોપો છે. વિવિધ રાજવંશ દ્વારા યુદ્ધમાં વપરાયેલી આ તોપો ભારતની ઐતિહાસિક ધરોહરસમાન છે. પોલીસના કહેવા અનુસાર પચીસથી ૩૦ બદમાશોએ કિલ્લામાં ક્રેન અને ટ્રક જેવાં મશીનો સાથે ઘૂસીને ચોરીનું કામ પાર પાડ્યું હતું. ખુલ્લામાં રાખેલી આ તોપ કોઈ ઉઠાવી ગયું છે એની જાણ તેમને બહુ મોડેથી થઈ હતી. આ ઘટના પાંચથી ૧૪ જુલાઈની વચ્ચે બની હોવાની સંભાવના છે. આ કિલ્લામાં સાંજ પછી પૂરતો ઉજાસ કે લાઇટ નથી હોતી એનો લાભ લઈને ચોરોએ આ કામ કર્યું હોવું જોઈએ. ૧૨ દિવસ પહેલાં પણ કિલ્લાની આસપાસ શંકાસ્પદ હલચલ જોવા મળી હતી અને સ્થાનિક લોકોએ પોલીસને સૂચના પણ આપી હતી. એમ છતાં સુરક્ષા વધારવામાં આવી નહોતી.

ચોરાયેલી તોપ ૧૬મી સદીની છે. આ તોપ પર થયેલું નકશીકામ અને ઐતિહાસિક નિશાન એને દુર્લભ બનાવે છે. આ ભારતીય સૈન્ય માટે ઐતિહાસિક ધરોહર જેવી હોવાથી એની કિંમત રૂપિયામાં આંકી શકાય એમ નથી. આવી જાયન્ટ ઐતિહાસિક ચીજ જો કોઈ ઍન્ટિક ચીજોના માર્કેટમાં વેચાવા મુકાય તો એની કિંમત કરોડોમાં થાય. પોલીસને શંકા છે કે આ ચોરી પાછળ કોઈ ઇન્ટરનૅશનલ ચોરોનો હાથ હોઈ શકે છે.

madhya pradesh offbeat news news national news