ખેતરમાં કારેલાંના છોડને અડતાં જ સાઇરન વાગવા માંડે એવી સિક્યૉરિટી ગોઠવી છે આ ખેડૂતે

20 May, 2025 01:09 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

આ સિક્યૉરિટી ૨૪ કલાક ચાલુ હોય છે. કોઈ કારેલાંના છોડને અડે તોય તેને અલર્ટ મળી જાય છે. તેના ખેતરથી થોડેક જ દૂર આવેલા ઘરમાં બેઠાં-બેઠાં તે ખેતરની નિગરાની કરે છે

ખેતરમાં કારેલાંના છોડને અડતાં જ સાઇરન વાગવા માંડે એવી સિક્યૉરિટી ગોઠવી છે આ ખેડૂતે

લોકો ઘરમાં કે ઑફિસમાં ચોરી ન થાય એ માટે સિક્યૉરિટી કૅમેરા અને સાઇરન ગોઠવતા હોય છે, પરંતુ બિહારના ગોપાલગંજ પાસેના ભેષ નારાયણ સિંહ નામના ખેડૂતભાઈએ પોતાના ખેતરને સાચવવા માટે અનોખાં સિક્યૉરિટી સેન્સર્સ ગોઠવ્યાં છે. કોઈ જાનવર કે પશુઓ આવીને તેના ઊભા પાકને અડે તો પણ સાઇરન વાગવા માંડે છે અને તે અલર્ટ થઈ જાય છે. આ સિસ્ટમ બેસાડ્યા પછી તેણે સતત નિગરાની માટે ખેતરમાં રહેવું નથી પડતું એટલું જ નહીં, કોઈ ચોકીદાર પણ રાખવો નથી પડતો. ભેષ નારાયણ સિંહે ખેતરમાં કારેલાંની ખેતી કરી છે. એ કારેલાં બચાવવા માટે તેણે ખેતરમાં ચોક્કસ અંતરે ક્લોઝ્ડ સર્કિટ કૅમેરા ગોઠવ્યા છે. એ કૅમેરાની રેન્જમાં કોઈ હાલતી-ચાલતી ભારે વજનવાળી ચીજ આવી જાય તો સાઇરન વાગવા માંડે છે.

આ સિક્યૉરિટી ૨૪ કલાક ચાલુ હોય છે. કોઈ કારેલાંના છોડને અડે તોય તેને અલર્ટ મળી જાય છે. તેના ખેતરથી થોડેક જ દૂર આવેલા ઘરમાં બેઠાં-બેઠાં તે ખેતરની નિગરાની કરે છે. પંખીઓ કે નાનાં જીવજંતુઓની હલચલ એમાં નોંધાતી નથી.

હવે તો ખેડૂતભાઈ ખેતરમાં મોટર-પમ્પ કે અન્ય ખેતીનાં સાધનો પણ એમ જ ખેતરમાં મૂકી દે તોય કોઈ ચોરવાની હિંમત નથી કરતું. આ સિક્યૉરિટી સિસ્ટમ માટે તેણે ૧૦,૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે.

bihar national news news social media offbeat news