છત્તીસગઢના એક સમાજે લગ્નમાં જૂતાચુરાઈની રસમ પર મૂક્યો પ્રતિબંધ

25 February, 2026 12:06 PM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

મંગેતરો લગ્ન પહેલાં વાત પણ નહીં કરી શકે

પ્રતીકાત્મક તસવીર

જમાનો ભલે મૉડર્ન થઈ રહ્યો હોય, છત્તીસગઢમાં સેન સમાજે લગ્નને લઈને કેટલાક ઑર્થોડૉક્સ કહેવાય એવા નિર્ણય લીધા છે જે વિચારતા કરી મૂકે એવા છે. સમાજમાં સગપણ તૂટવાના કિસ્સા વધી ગયા હોવાથી સમાજના આગેવાનોએ એનાં કારણ શોધીને એ દૂર કરવાનું નક્કી કર્યું છે. એમાં સૌથી મોટા બે નિયમ લેવામાં આવ્યા છે. એક તો સગાઈ પછી છોકરા-છોકરી બેમાંથી કોઈએ ફોન પર વાત ન કરવી. હા, બરાબર વાંચ્યું. સગાઈ થયા પછી મંગેતરોએ કોઈકની હાજરીમાં જ વાતચીત કરવી અને એ પણ વડીલોની હાજરીમાં. સમાજનું માનવું છે કે છોકરા-છોકરીઓ એકાંતમાં વાત કરે છે ત્યારે કંઈક એવી વાતો કરી બેસે છે જેને કારણે સંબંધોમાં તનાવ આવી જાય છે અને સગપણ તૂટવા પર આવી જાય છે. બીજો આવો જ નિર્ણય છે લગ્નના પ્રસંગમાં જૂતાચુરાઈની વિધિ પર પ્રતિબંધ. હસીમજાક માટેની આ પરંપરામાં સાળીઓ અને જમાઈઓ વચ્ચેની મજાક ક્યારેક એટલી હદે વણસી જાય છે કે લગ્ન પૂરાં થતાં પહેલાં જ સંબંધો છૂટા થઈ જાય છે. જૂતાચુરાઈમાં બન્ને પક્ષો વચ્ચે ઝઘડા થઈ જવાથી જાન પાછી વાળવા સુધીની નોબત આવી હોવાથી સેન સમાજે લગ્નમાં આ વિધિ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે. છત્તીસગઢમાં સેન સમાજની લગભગ સવાબે લાખ લોકોની વસ્તી છે. આ તમામ પર આવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. 

chhattisgarh offbeat news national news news