રાજસ્થાનમાં ગાયો ચરાવવા માટે ગોવાળોની નોકરીની ભરતી શરૂ થઈ

25 February, 2026 12:10 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

સરકાર પ્રાચીન ગોચારણ પરંપરાને પુનર્જીવિત કરવા માટે આ નવી યોજના લાવી છે

રાજસ્થાન સરકારની યોજના ગાંવ ગ્વાલા યોજના ખૂબ ચર્ચામાં છે

આજકાલ રાજસ્થાન સરકારની એક યોજના ખૂબ ચર્ચામાં છે અને એનું નામ છે ગાંવ ગ્વાલા યોજના. આ યોજનામાં ગાય ચરાવનારા ગોવાળોની ભરતી કરવામાં આવી રહી છે અને તેમને એને માટે પગાર પણ આપવામાં આવશે. રાજસ્થાનના શિક્ષાપ્રધાન મદન દિલાવરે કોટા જિલ્લાના રામગંજમંડીમાં ૧૪ ગામડાંઓમાં ગોવાળની નિયુક્તિ કરી છે. સરકાર પ્રાચીન ગોચારણ પરંપરાને પુનર્જીવિત કરવા માટે આ નવી યોજના લાવી છે. આ ગોવાળો રોજ ગામની ગાયોને સામૂહિક રૂપે ગોચરભૂમિ સુધી ચરાવવા લઈ જશે અને સાંજે એમને ઘરે પાછી લાવશે. ગાયોને આખો દિવસ ચરવા માટે છુટ્ટી મૂકી દેવામાં આવશે અને સાંજે પાછી એમને ગામનાં ઘરોમાં મોકલવામાં આવશે. દર ૭૦ ગાયે એક ગોવાળની નિયુક્તિ કરવામાં આવી છે. જો ગાયની સંખ્યા વધશે તો એ ગામમાં બીજા ગોવાળો પણ નિયુક્ત કરવામાં આવશે. દરેક ગોવાળને ગાય ચરાવવાનો પગાર ૧૦,૦૦૦ રૂપિયા મળશે. આ યોજના ગામના દાતાઓના સહયોગથી સંચાલિત થઈ રહી છે. 

rajasthan offbeat news national news news