09 September, 2026 10:06 AM IST | Chitrakoot | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા વિશે અવારનવાર સોશ્યલ મીડિયામાં ચર્ચાઓ થતી રહેતી હોય છે, પણ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં આવેલા પ્રસિદ્ધ કામદગિરિ મંદિરના માર્ગ પર કંડારવામાં આવેલા એક વાઇરલ વિડિયોએ ઇન્ટરનેટ પર નવો વિવાદ છેડી દીધો છે.
આ વિડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ જમીન પર સતત ગબડી-ગબડીને કે આળોટી-આળોટીને, શયનપ્રણામ કરીને મંદિર તરફ જઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શ્રદ્ધાળુએ લગભગ પાંચ કિલોમીટર સુધીનું અંતર આ જ રીતે જમીન પર આળોટી-આળોટીને કાપ્યું હતું.
જે વાતે નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યું અને વિવાદ ઊભો કર્યો તે એ હતો કે જ્યારે આ માણસ રસ્તા પર આળોટી રહ્યો હતો ત્યારે તેની સાથે ચાલી રહેલા સંબંધીઓ-સાથીદારો તેના શરીરને ઈજા ન થાય એ માટે રસ્તા પર સતત ગાદલાં અને ગાદીઓ પાથરી રહ્યા હતા, જ્યારે અન્ય લોકો તેની આસપાસ ઢોલ-નગારાં સાથે નાચી રહ્યા હતા.