17 January, 2026 12:08 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
આ ભાઈનો દાવો છે કે તેઓ ૫૦ વર્ષથી સૂતા નથી
મધ્ય પ્રદેશના રીવામાં છેલ્લાં પ૦ વર્ષથી એક ક્ષણ માટે પણ સૂતા ન હોવાનો દાવો કર્યો છે મોહનલાલ દ્વિવેદી નામના ભાઈએ. તેમનું કહેવું છે કે એ પછી પણ તેમને કોઈ ગંભીર બીમારી નથી. તેમની દિનચર્યા સામાન્ય વ્યક્તિઓ જેવી જ છે. હાલમાં ૭૫ વર્ષના મોહનલાલને છેલ્લા પાંચ દાયકાથી ઊંઘ જ નથી આવી. આ માટે પહેલાં તેમણે દિલ્હી અને મુંબઈના ડૉક્ટરોને પણ બતાવ્યું હતું, પણ ઊંઘ કેમ નથી આવતી એની ખબર નથી પડતી. તેમનું કહેવું છે કે તેમના શરીરમાં પીડાની સંવેદના પણ ઘટી ગઈ છે. ક્યાંક ઘા વાગે તો પીડાનો અહેસાસ પણ નથી થતો. આખી રાત તેઓ જાગતા બેસી રહે છે, પણ ન તો તેમને આંખમાં બળતરા થાય છે કે નથી થતી બીજા દિવસે કામકાજ પર માઠી અસર. પરિવારે તેમના પર જાદુટોણાં કરાવીને ઊંઘાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પણ સફળતા નથી મળી. મોહનલાલ ૧૯૭૩માં લેક્ચરર બન્યા હતા અને પછી નાયબ તહસીલદાર. ૨૦૦૧માં તેઓ નિવૃત્ત થયા હતા. જોકે તેમને ઊંઘ લગભગ ૧૯૭૩ની સાલથી ઘટી ગઈ હતી અને ૫૦ વર્ષથી તો તેમણે ઝપકી પણ નથી લીધી એવો તેમનો દાવો છે.