20 May, 2025 01:19 PM IST | Kedarnath | Gujarati Mid-day Correspondent
૭૦ વર્ષના બે બુઝુર્ગો કર્ણાટકથી ચાલીને ૬૦ દિવસમાં કેદારનાથ પહોંચ્યા
ચારધામની યાત્રામાં જ્યારે કેદારનાથની યાત્રા કરવાની હોય ત્યારે પણ લોકો હેલિકૉપ્ટર અને ટટ્ટુની સવારી શોધતા હોય છે, જ્યારે કર્ણાટકના ગુલબર્ગાથી ૭૦ વર્ષના બે વયોવૃદ્ધ ભક્તો ચાલીને કેદારનાથની યાત્રા કરવા પહોંચ્યા છે. આ ભક્તો ખભા પર ખૂબ જ ઓછો સામાન અને રેઇનકોટ પહેરીને કેદારનાથ મંદિરની બહાર પહોંચ્યા ત્યારે કોઈક યુટ્યુબરે તેમની સાથે વાતચીત કરી હતી. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ બન્ને વડીલ ભક્તો વિડિયોમાં કહે છે, ‘અમે ૩ માર્ચે કર્ણાટકના ગુલબર્ગાથી પદયાત્રા શરૂ કરી હતી. એ પછી રોજના ૩૦થી ૩૫ કિલોમીટર ચાલીને અમે ૬૦ દિવસમાં કેદારનાથ પહોંચ્યા હતા. અમને હતું કે ૭૦-૭૫ દિવસ લાગી જશે, પણ અમારી યાત્રા વહેલી થઈ ગઈ.’
ઇન્સ્ટાગ્રામર શિવા રાજસ્થાનીએ તેમનો વિડિયો પોસ્ટ કર્યો છે. બુઝુર્ગોએ સિલ્વર અને રેડ કલરનો રેઇનકોટ પહેર્યો છે અને હાથમાં લાકડી છે. પીઠ પર બહુ જ ઓછો સામાન છે. તેમની ઉંમર જોતાં આટલે લાંબેથી ચાલીને આવવું એ તેમના માટે જબરી તપસ્યા જ કહેવાય એવું અનેક લોકોએ કમેન્ટમાં કહ્યું છે.