31 March, 2026 01:20 PM IST | Mainpuri | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઉત્તર પ્રદેશમાં ભાનપુર ગામના એક યુવકનાં લગ્ન થયાં એ પછી તરત જ તેને લગ્નની કડવી સચ્ચાઈ સમજાઈ ગઈ હતી, કેમ કે તેની પત્ની ખૂબ કજિયાળી હતી. લગ્ન થયાં ત્યારથી શરૂ થયેલા પત્ની સાથેના ઝઘડાથી તંગ આવીને યુવકે પૌરાણિક બેડવા સમય માતા મંદિરમાં માનતા માની હતી. તેણે મા બેડવા પાસે માનતા માની હતી કે જો મને કજિયાળી પત્નીથી છુટકારો મળશે તો હું ઘરેથી મંદિર સુધી દંડવત્ પ્રણામ કરીને યાત્રા કરીશ. ગયા અઠવાડિયે કોર્ટમાં તેના પક્ષમાં ચુકાદો આવતાં તેને છૂટાછેડા મળી ગયા હતા. એ પછી તરત જ યુવકે કંઈ જ ખાધા-પીધા વિના ઘરેથી બેડવા સમય માતા મંદિર સુધીની દંડવત્ યાત્રા શરૂ કરી દીધી. તેની સાથે તેના પેરન્ટ્સ અને ગામના ડઝનેક લોકો પણ બૅન્ડવાજાં સાથે જોડાયા અને માના જયકારા બોલાવ્યા હતા. સવારે નીકળેલો યુવક છેક સાંજે ૬ વાગ્યે દંડવત્ યાત્રા પૂરી કરી શક્યો ત્યારે તેના ઘૂંટણ છોલાઈને લોહીલુહાણ થઈ ગયાં હતાં. યુવકનું કહેવું હતું કે ‘પત્ની ખૂબ હેરાન કરતી હતી. બે વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો હતો અને લાગતું હતું કે હવે તો કોર્ટનાં ચક્કર કાપવામાં જ જિંદગી પૂરી થઈ જશે. કંટાળીને બેડવા માતાની માનતા રાખી હતી. વૈવાહિક જીવનના નરકમાંથી નીકળ્યા પછી હવે ખૂબ શાંતિ મહેસૂસ કરું છું.’