રોહિત શર્મા બાદ શુભમન ગિલને નહીં પણ શ્રેયસ ઐયરને મળશે વન-ડે કૅપ્ટનનું પદ?

23 August, 2025 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુભમન ગિલને T20 ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવીને સિલેક્ટર્સે તેને ત્રણેય ફૉર્મેટનો કૅપ્ટન બનાવવાનો મજબૂત સંકેત આપ્યો હતો

રોહિત શર્મા, શુભમન ગિલ

ભારતીય ક્રિકેટના પરિવર્તનના તબક્કામાં ઘણા ટ્‌વિસ્ટ ઍન્ડ ટર્ન આવી રહ્યા છે. શુભમન ગિલને T20 ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવીને સિલેક્ટર્સે તેને ત્રણેય ફૉર્મેટનો કૅપ્ટન બનાવવાનો મજબૂત સંકેત આપ્યો હતો, પરંતુ હવે અહેવાલ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ અને સિલેક્ટર્સ વન-ડે માટે એક અલગ વિકલ્પ પર વિચાર કરી રહ્યાં છે. રોહિત શર્મા બાદ તેઓ મિડલ ઑર્ડર બૅટર શ્રેયસ ઐયરને વન-ડે કૅપ્ટનના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.

T20 એશિયા કપ 2025ની ટીમમાં ભલે તેને સ્થાન ન મળ્યું, પણ ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ના તેના ધમાકેદાર પ્રદર્શનના આધારે તેણે વન-ડે કૅપ્ટન્સી માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. તેણે ભારત માટે ૭૦ વન-ડેમાં ૪૮.૨૨ની ઍવરેજથી પાંચ સદીની મદદથી ૨૮૪૫ રન કર્યા છે. શુભમન ગિલ ટેસ્ટ-કૅપ્ટન હોવાની સાથે વાઇટ-બૉલ ફૉર્મેટની બન્ને ટીમનો વાઇસ-કૅપ્ટન પણ છે. તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને ભારતીય બોર્ડ તેને વધારે જવાબદારી ન આપવા પર વિચાર કરશે. 

જોકે ઐયરના પ્રમોશનનો સમય રોહિત શર્માના ઇન્ટરનૅશનલ કરીઅરના ભવિષ્ય વિશેના નિર્ણય પર નિર્ભર રહેશે. ૩૮ વર્ષનો વન-ડે કૅપ્ટન રોહિત તેના સાથી-ક્રિકેટર વિરાટ કોહલી સાથે આગામી ઑસ્ટ્રેલિયા ટૂર પર અંતિમ વન-ડે સિરીઝ રમશે એવી ચર્ચા છે. જો રોહિત રાજીનામું આપવાનો નિર્ણય લે તો ઑસ્ટ્રેલિયા સિરીઝ પછી તરત જ ઐયર કૅપ્ટન્સી સંભાળી શકે છે. ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કૅપ્ટન્સીના દાવેદાર પર સૌની નજર રહેશે.

t20 rohit sharma shubman gill shreyas iyer board of control for cricket in india cricket news indian cricket team sports news sports champions trophy world cup t20 asia cup 2025