08 December, 2025 12:59 PM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતના યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સોશ્યલ મીડિયા પર પોતાના રમૂજી વિડિયોને કારણે ચર્ચામાં રહે છે. તેણે વિશાખાપટનમ વન-ડે બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે વિડિયો બનાવવાની તક ઝડપી લીધી હતી. ટ્રોફી સાથે ગ્રુપ-ફોટો પડાવતા સમયે અર્શદીપ સિંહ અને વિરાટ કોહલી વચ્ચે કૅમેરા સામે થયેલી મજેદાર વાતચીતને ઇન્સ્ટાગ્રામ પર ઑલમોસ્ટ ૧૦૦ મિલ્યન લોકોએ નિહાળી છે.
આ વિડિયોમાં અર્શદીપ સિંહે કહ્યું હતું કે ‘પાજી, રન કમ રહ ગએ, સેન્ચુરી તો પક્કીથી વૈસે.’ જવાબમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘ટૉસ જીત ગએ, નહીં તો તેરી ભી પક્કીથી ડ્યુ (ઝાકળ) મેં.’
૨૭૧ રનનો ટાર્ગેટ મળ્યો હોવાથી વિરાટ કોહલીની ત્રીજી વન-ડેની ઇનિંગ્સ ૬૫ રન સુધી જ સીમિત રહી હતી. ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેતાં સિરીઝની નિર્ણાયક મૅચમાં ઝાકળે મુખ્ય ભૂમિકા ભજવી. જેમ-જેમ સાંજ પડતી ગઈ તેમ-તેમ જમીન પર ભેજને કારણે સાઉથ આફ્રિકાના બોલરો માટે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ. કોહલીએ ટૂંકમાં અર્શદીપને ટૉન્ટ માર્યો કે જો પહેલી બોલિંગ ન કરી હોત તો તારી ઓવરમાં પણ ઝાકળને કારણે ૧૦૦ રન પડ્યા હોત.