Asian Games 2026: જાપાન જવા પહેલા ટીમ ઇન્ડિયા સામે અવરોધ! આ સમસ્યાઓએ ઊભી થઈ

19 September, 2026 08:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતીય ટીમ જાપાનમાં બે પ્રકારની જર્સી પહેરશે. 22 સપ્ટેમ્બરે જાપાન સામેની એકમાત્ર T20 મૅચ માટે, ભારતીય ખેલાડીઓ તેમની સામાન્ય જર્સી પહેરશે; આ મૅચ એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધાનો ભાગ નથી. એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધા 28 સપ્ટેમ્બરથી શરૂ થશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

2026ની એશિયન ગેમ્સ માટે રવાના થતા પહેલા ભારતીય મૅન્સ ક્રિકેટ ટીમને તેમની જર્સીને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ખેલાડીઓને હજી સુધી યોગ્ય માપની કિટ મળી નથી. જોકે, મોટાભાગના ખેલાડીઓ માટે આ સમસ્યા ઉકેલાઈ ગઈ છે અને બાકીની કિટ પણ ટૂંક સમયમાં આવી જવાની અપેક્ષા છે. શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ભારતીય ટીમ રવિવારે વહેલી સવારે નવી દિલ્હીથી જાપાન જવા રવાના થવાની છે. ભારતીય ઑલિમ્પિક સંઘ (IOA)ના કિટ સપ્લાયર `JSW ઇન્સ્પાયર` અને BCCI વચ્ચે કિટ અંગે સતત ચર્ચા-વિચારણા ચાલી રહી છે.

ટીમ બે અલગ-અલગ જર્સીમાં રમશે

ભારતીય ટીમ જાપાનમાં બે પ્રકારની જર્સી પહેરશે. 22 સપ્ટેમ્બરે જાપાન સામેની એકમાત્ર T20 મૅચ માટે, ભારતીય ખેલાડીઓ તેમની સામાન્ય જર્સી પહેરશે; આ મૅચ એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધાનો ભાગ નથી. એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધા 28 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સ્પર્ધામાં, ભારતીય ટીમ IOAના સ્પોન્સર `JSW ઇન્સ્પાયર` દ્વારા પૂરી પાડવામાં આવેલી સત્તાવાર એશિયન ગેમ્સ જર્સી પહેરશે. ભારત એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધાની અગાઉની આવૃત્તિમાં જીતેલા ગોલ્ડ મૅડલને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

BCCIએ નાગોયામાં પોતાની હૉટેલની વ્યવસ્થા કરી

જર્સીની સમસ્યા ઉપરાંત, BCCIએ ટીમની રહેવાની વ્યવસ્થા પણ અલગથી કરી છે. નાગોયામાં આયોજકો દ્વારા પૂરા પાડવામાં આવેલા રૂમમાં ખેલાડીઓની કિટ બૅગ રાખવા માટે પૂરતી જગ્યા નહોતી. આ ઉપરાંત, રહેવાની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં પણ વિલંબ થયો હતો. પરિણામે, BCCIએ પુરુષ ક્રિકેટ ટીમ માટે સ્વતંત્ર રીતે હૉટેલની વ્યવસ્થા કરી. જોકે નાગોયામાં મોટી હૉટેલોની સંખ્યા મર્યાદિત છે, તેમ છતાં ટીમ જાપાન જવા રવાના થાય તે પહેલાં રહેવાની વ્યવસ્થા કરી લેવામાં આવી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને રહેવાની આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો ન હતો; તેઓ IOA દ્વારા પૂરી પાડવામાં આવેલી વ્યવસ્થામાં રોકાઈ રહી છે.

ક્રિકેટ સુવિધાઓ અંગે પ્રશ્નો

એશિયન ગેમ્સમાં ક્રિકેટ સુવિધાઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ વખતે ખેલાડીઓ માટે અલગ `ગેમ્સ વિલેજ` બનાવવામાં આવ્યું નથી. આયોજકોએ ખેલાડીઓના રહેઠાણ માટે ક્રૂઝ શિપ, કન્ટેનર અને હૉટેલોનો ઉપયોગ કર્યો છે. કેટલાક ભારતીય ખેલાડીઓએ તેમના રહેઠાણમાં ચેક-ઇન કરવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. સત્તાવાર કિટને લગતી સમસ્યાઓએ અન્ય ભારતીય ખેલાડીઓને પણ અસર કરી છે. તજિંદરપાલ સિંહ તૂર સમયસર જાપાન પહોંચી શકશે નહીં કારણ કે તેને તેની અધિકૃત કિટ મળી નથી. ઉદ્ઘાટન સમારોહમાં મનુ ભાકરની સાથે તે ભારતના ધ્વજવાહક બનવાનો હતો. તેના સ્થાને હવે કબડ્ડી ખેલાડી પવન સેહરાવતને ધ્વજવાહક બનાવવામાં આવ્યો છે. અધિકૃત કિટ મળવામાં થયેલા વિલંબને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

asian games japan indian cricket team board of control for cricket in india shreyas iyer cricket news sports news sports