26 September, 2021 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાર્થિવ પટેલ. તસવીર/એએફપી
પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું રવિવારે નિધન થયું છે. પાર્થિવે ટ્વીટ કરીને આ સમાચારની માહિતી આપી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે મારા પિતા અજયભાઈ બિપીનચંદ્ર પટેલનું 26 સપ્ટેમ્બરે નિધન થયું છે. તેણે ચાહકોને પ્રાર્થનામાં તેના પિતાને યાદ કરવાનું પણ કહ્યું હતું. પાર્થિવ માટે છેલ્લા 2 વર્ષ ખૂબ જ મુશ્કેલ સમય રહ્યો છે. હકીકતે વર્ષ 2019માં જ્યારે પાર્થિવ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનો ભાગ હતો, ત્યારે તેના પિતાની તબિયત લથડી હતી.
તે સમયે તેના પિતા બ્રેઈન હેમરેજ સામે ઝઝૂમી રહ્યા હતા અને તેમને આઈસીયુ દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે પાર્થિવની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ એકદમ ડિસ્ટર્બ થઈ હતી. તે હંમેશા તેના પિતાથી ડરતો હતો.
પાર્થિવે 2019માં આઈપીએલ મેચ બાદ કહ્યું હતું કે જ્યારે તે મેચ પૂરી થયા બાદ ડ્રેસિંગ રૂમમાં જતો હતો, ત્યારે તે તેના ફોનને જોઈને પ્રાર્થના કરતો હતો કે હોસ્પિટલમાંથી કોઈ ખરાબ સમાચાર ન આવે. તેણે 2019ની IPLની શરૂઆત પહેલા સોશિયલ મીડિયા પર તેના પિતાની સ્થિતિ વિશે જણાવ્યું હતું. તેના પિતા લાંબા સમયથી હોસ્પિટલમાં હતા.
પાર્થિવ પટેલે તે સમયે એક મીડિયા હાઉસ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જે દિવસે તેના પિતા અચાનક પડી ગયા હતા. આગામી 12 દિવસ સુધી, તે તેના પિતા સાથે ICUમાં હતો. તે 10 દિવસ સુધી ઘરે પણ જઈ શક્યો નહીં. આ કારણે તેને મેદાનથી પણ દૂર રહેવું પડ્યું હતું.