11 March, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર
રવિવારે ન્યુ ઝીલૅન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ જીતીને ભારતીય ટીમે ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે હેડ કોચ ગૌતમ ગંભીરે પણ એ નવો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો. પોતાના કોચિંગમાં ટીમને બે-બે ICC ટ્રોફી જિતાડનાર ગંભીર પ્રથમ ભારતીય કોચ બની ગયો હતો. ઉપરાંત પ્લેયર તરીકે અને કોચ તરીકે વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું પણ બહુમાન મેળવ્યું હતું. હવે ગંભીરની નજર ૨૦૨૭માં સાઉથ આફ્રિકામાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપ પર છે. એ માટે તે IPL દરમ્યાન ત્રણેક મહિના આરામ કરીને નવા જોશ સાથે એની તૈયારીમાં લાગી જશે.
વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ દૈનિક જાગરણને આપેલા પ્રથમ ઇન્ટરવ્યુમાં જ્યારે તેને મિશન વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૭ની યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘હજી બેથી ત્રણ મહિના છે. એવું નથી કે આપણે એ બાબતે તરત જ વિચાર કરવાની જરૂર છે. વન-ડે વર્લ્ડ કપને આડે હજી દોઢેક વર્ષ છે. IPL પૂરી થવાની હશે ત્યારે હું અને સિલેક્ટરો મળીશું અને એ વિશે ચર્ચા કરીશું કે કેવી રીતે ટીમ ઘડવી છે, કેમ કે સાઉથ આફ્રિકાની પરિસ્થિતિ આપણા કરતાં ઘણી અલગ છે. આ બધું ધ્યાનમાં રાખીને સ્ક્વૉડ અને પ્લેઇંગ ઇલેવન વિશે યોજના બનાવીશું. વાસ્તવિકતા એ છે કે આપણે વધુ વન-ડે નથી રમતા. આગામી વર્લ્ડ કપ પહેલાં આપણે પચીસથી ૩૦ જ વન-ડે મૅચ રમીશું. એમાં જ અમારે બધી તૈયારી કરવાની છે. વન-ડે સિરીઝ પણ મોટા ભાગે ૩ મૅચની જ હોય છે, ભાગ્યે જ પાંચ મૅચની સિરીઝ રાખવામાં આવે છે. જે છે એમાં અમારે વન-ડે વર્લ્ડ કપ માટેની તૈયારી કરવાની છે.
૨૮ માર્ચથી IPL શરૂ થશે અને ૩૧ મે સુધી ચાલશે. ત્યાર બાદ જૂનમાં ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ મૅચ અને ૩ વન-ડેનો સમાવેશ છે. આ સિરીઝ બાદ તરત જ જુલાઈમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ ટૂર પર જશે. જ્યાં એ પાંચ T20 અને ૩ વન-ડેની સિરીઝ રમશે. ત્યાર બાદ ૧થી ૧૩ સપ્ટેમ્બર દરમ્યાન બંગલાદેશની ટૂરની યોજના છે, જેમાં ૩ વન-ડે અને એટલી T20 મૅચોનો સમાવેશ છે. જોકે બન્ને દેશો વચ્ચે વણસેલા સબંધોને લીધે આ ટૂર વિશે શંકા સેવાઈ રહી છે.