IPL 2025માં થાય છે ફિક્સિંગ! ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે આપ્યા પુરાવા

26 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IPL 2025 Match Fixing: બુધવારે ઇશાન કિશનની વિકેટ વિવાદાસ્પદ રહી હતી, હવે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જુનૈદ ખાને આ અંગે એક પોસ્ટ મૂકી છે અને લીગ પર પ્રશ્નો ઉભા કર્યા છે

હૈદરાબાદમાં IPL 2025 ક્રિકેટ મેચ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદના ઇશાન કિશન મેદાનની બહાર જતા મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ તેની વિકેટની ઉજવણી કરી રહ્યા છે. (તસવીર: પીટીઆઈ)

પાકિસ્તાન (Pakistan)ના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જુનૈદ ખાન (Junaid Khan) ગુરુવારે ફરી એકવાર હેડલાઇન્સમાં છવાઈ ગયા છે. તેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL)ની હાલ ચાલી રહેલી સિઝન આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)માં મેચ ફિક્સિંગ (IPL 2025 Match Fixing)ની શક્યતાનો સંકેત આપ્યો. જુનૈદે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) સામે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ના બેટ્સમેન ઇશાન કિશન (Ishan Kishan)ના વિવાદાસ્પદ આઉટ પર નિવેદન આપ્યું.

બુધવારે ૨૩ એપ્રિલના રોજ હૈદ્રાબાદ (Hyderabad)ના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (Rajiv Gandhi International Cricket Stadium)માં મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians - MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad - SRH) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈની ટીમે ૭ વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં મુંબઈના દીપક ચહર (Deepak Chahat) દ્વારા ફેંકવામાં આવેલી ત્રીજી ઓવરમાં, ઇશાન કિશન લેગ સાઈડ પર શોટ રમવા ગયો હતો પરંતુ તે ચૂકી ગયો. વિકેટકીપર રાયન રિકલટન (Ryan Rickelton)એ બોલ પકડ્યો, પરંતુ કોઈએ અપીલ કરી નહીં. આમ છતાં, ઇશાન કિશન પેવેલિયન પાછો ફર્યો. ફિલ્ડ અમ્પાયર વિનોદ સેશન (Vinod Seshan) બોલને વાઈડ આપવાના હતા, પરંતુ કિશનને પેવેલિયન જતો જોઈને તેમણે આંગળી ઉંચી કરીને આઉટ આપવાનો નિર્ણય કર્યો. રિપ્લેમાં જોવા મળ્યું કે કિશન આઉટ નહોતો અને બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક નહોતો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જુનૈદ ખાને પોતાના ઓફિશિયલ X હેન્ડલ પર ઈશાન કિશનની વિકેટની ક્લિપ શેર કરી અને કેપ્શનમાં લખ્યું, `દાળમાં કંઈક કાળું છે.`

આ પોસ્ટ પછી આઇપીએલમાં મેચ ફિક્સિંગની સતત ચર્ચા થઈ રહી છે. ઘણા ચાહકો સોશિયલ મીડિયા પર ઈશાન કિશનને સવાલ કરી રહ્યા છે કે જ્યારે બોલ તેના બેટ પર ન વાગ્યો, તો તેણે ક્રીઝ કેમ છોડી દીધી? અને જો અમ્પાયરે ખોટો નિર્ણય લીધો અને તેને આઉટ આપ્યો, તો ઈશાને DRS કેમ ન લીધો? સનરાઈઝર્સ હૈદરાબાદ આ મેચ ખરાબ રીતે હારી ગયું અને હવે તેમના માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ૮ માંથી ફક્ત ૨ મેચ જીતી શક્યું છે. વિસ્ફોટક બેટ્સમેનોથી ભરેલી હૈદરાબાદ ટીમની બેટિંગે આ સિઝનમાં સૌથી વધુ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે, ઈશાને પહેલી મેચમાં સદી ફટકારી હતી પરંતુ તે પછી તેને ફ્લોપ તરીકે જોવામાં આવ્યો છે. ઈશાને અત્યાર સુધી રમાયેલી ૮ ઇનિંગ્સમાં ફક્ત ૧૩૯ રન બનાવ્યા છે, જ્યારે પહેલી જ મેચમાં તેણે ૧૦૬ રન બનાવ્યા છે.

જોકે, આ પહેલી વાર નથી જ્યારે IPL 2025 માં મેચ ફિક્સિંગના આરોપો લગાવવામાં આવ્યા હોય. ગયા અઠવાડિયે, એડ-હોક કમિટી કન્વીનર જયદીપ બિહાનીએ લખનઉ સુપરજાયન્ટ્સ (Lucknow Super Giants) સામેની હાર બાદ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) પર પણ આ જ આરોપ લગાવ્યો હતો. રાજસ્થાન રોયલ્સે બે મેચ જીતીને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. RCA કન્વીનર બિહાનીએ આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાન રોયલ્સ IPL 2025 માં મેચ ફિક્સિંગમાં સામેલ હતી. પરંતુ ફ્રેન્ચાઇઝીએ આ આરોપોને ફગાવી દીધા હતા.

indian premier league IPL 2025 sunrisers hyderabad mumbai indians ishan kishan pakistan cricket news sports sports news