IPL પ્લેઑફમાં ગુજરાત, બૅન્ગલોર, હૈદરાબાદ અને પંજાબની એન્ટ્રીની સંભાવના સૌથી પ્રબળ

13 May, 2026 03:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચેન્નઈ અને કલકત્તા પાસે પણ ટૉપ ફોરમાં પહોંચવાની તક, લખનઉ અને મુંબઈની જેમ દિલ્હી પણ રેસમાંથી બહાર

IPLના કૅપ્ટનસ

IPL 2026ની સીઝન પ્લેઑફ માટે એક રોમાંચક દોડ તરફ આગળ વધી રહી છે. IPL 2026ના લીગ-સ્ટેજને સમાપ્ત થવામાં બે અઠવાડિયાંથી ઓછો સમય બાકી છે ત્યારે કોઈ ટીમે હજી સુધી પ્લેઑફની પ્રબળ દાવેદારી નોંધાવી નથી. ટૉપ ફોરની અંતિમ ટીમ બનવામાં ગુજરાત ટાઇટન્સ ૮૦+ની ટકાવારી સાથે સૌથી આગળ છે. ગઈ કાલની જીત સાથે ગુજરાતે આ સીઝનમાં ૧૬ પૉઇન્ટ મેળવનાર પહેલી ટીમ બનીને  પ્લેઑફની દાવેદારી મજબૂત કરી લીધી છે. એને પ્લેઑફમાંથી બહાર કરવું હવે લગભગ મુશ્કેલ છે. બીજા ક્રમે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ૮૦.૧ ટકા છે. ગઈ કાલની ૮૨ રનની સૌથી મોટી હારને કારણે ત્રીજા ક્રમે સનરાઇઝર્સ હૈદરાબાદની સંભાવના ૮૦ ટકાની આસપાસની રહી ગઈ છે.  પહેલી ૭ મૅચમાં અજેય રહ્યા બાદ છેલ્લી ૪ મૅચ હારનાર પંજાબ કિંગ્સની પ્લેઑફમાં પહોંચવાની સંભાવના ૬૨.૫ ટકા છે. આ ટીમે પોતાની બાકીની ત્રણેય મૅચ જીતવી પડશે. પંજાબના પ્લેઑફ-સ્પૉટને ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સથી ખતરો છે. ૧૧ મૅચમાં ૬ મૅચ જીતનાર ચેન્નઈની પ્લેઑફની સંભાવના હજી ૪૨.૭ ટકા છે. ૧૦ મૅચમાંથી છેલ્લી ૪ મૅચ જીતનાર કલકત્તાની સંભાવના ૧૧.૬ ટકા છે. મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ૧૧-૧૧ મૅચમાં માત્ર ત્રણ જીતને કારણે પ્લેઑફની રેસમાંથી પહેલાં જ બહાર થઈ ગયાં છે. ૧૨ મૅચમાંથી પાંચ મૅચ જીતનાર દિલ્હી કૅપિટલ્સની પ્લેઑફની સંભાવના ૧.૨ ટકા જ છે. છેલ્લી બે મૅચ જીતીને તેઓ ૧૪ પૉઇન્ટ સુધી પહોંચી શકશે. જ્યારથી ૨૦૨૨માં IPL ૧૦ ટીમની ટુર્નામેન્ટ બની છે ત્યારથી ૧૬ પૉઇન્ટને પ્લેઑફ માટે ક્વૉલિફાય કરવા માટે જરૂરી મૅજિક-નંબર માનવામાં આવે છે. ૨૦૨૨માં બૅન્ગલોર, ૨૦૨૩ અને ૨૦૨૫માં મુંબઈએ ૧૬ પૉઇન્ટ સાથે ચોથા સ્થાને રહીને પ્લેઑફ માટે સફળતાપૂર્વક ક્વૉલિફાય કર્યું હતું. ૨૦૨૪માં બૅન્ગલોરે ૧૪ પૉઇન્ટ સાથે પણ પ્લેઑફની અંતિમ ટીમ બનવામાં સફળતા મેળવી હતી. 

cricket news IPL 2026 sports news sports royal challengers bangalore chennai super kings