31 May, 2026 08:25 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ચિયરલીડર ચાચા
પાકિસ્તાન ક્રિકેટ ટીમના સૌથી પ્રખ્યાત ચિયરલીડર ચાચા ક્રિકેટ આ વર્ષે નિવૃત્તિ લેવાના છે. પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આવતા અઠવાડિયે લાહોરમાં યોજાનારી ત્રીજી અને અંતિમ વન-ડે મૅચ વતનમાં પાકિસ્તાન માટે ચિયર કરવાની તેમની છેલ્લી તક હશે. જોકે તેમને આશા છે કે પાકિસ્તાનની આગામી ઇંગ્લૅન્ડ ટૂરમાં પણ તેઓ ટીમને છેલ્લી વખત ચિયર કરી શકશે. ચાચા ક્રિકેટ તરીકે જાણીતા ૭૭ વર્ષના અબ્દુલ જલીલ ૧૯૬૮-‘૬૯થી પાકિસ્તાનની ૫૦૦ જેટલી મૅચોમાં ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ આવતા હતા. ઘેરા લીલા રંગના કુરતા અને ટોપીએ તેમને દેશવ્યાપી ખ્યાતિ અપાવી ત્યાર બાદ તેમણે યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં પોતાની નોકરી પણ છોડી દીધી હતી. તેઓ નિવૃત્તિ બાદ સિયાલકોટમાં એક રેસ્ટોરાં અને મ્યુઝિયમ ખોલવાના કામ પર ફોકસ કરશે. ક્રિકેટ-ટૂર દરમ્યાન એકત્રિત કરેલી બધી યાદગાર વસ્તુઓ તેઓ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવાની ઇચ્છા રાખે છે.