25 July, 2024 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝુબિન ભરૂચા
શ્રીલંકાના વચગાળાના હેડ કોચ સનથ જયસૂર્યાએ ગઈ કાલે ખુલાસો કર્યો કે IPLની ટીમ રાજસ્થાન રૉયલ્સના હાઈ પર્ફોર્મન્સ ડિરેક્ટર ઝુબિન ભરૂચાએ શ્રીલંકન બૅટ્સમેનોને ભારત સામેની આગામી T20 સિરીઝ માટે તૈયાર કરવામાં મદદ કરી છે. મુંબઈના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ખેલાડી ઝુબિન ભરૂચાએ શ્રીલંકાના ખેલાડીઓ સાથે છ દિવસીય કૅમ્પનું આયોજન કર્યું હતું. ઝુબિન ભરૂચાએ શ્રીલંકન ક્રિકેટર્સને નવી ટેક્નિક, નવા શૉટ્સ મારવા માટેની અસરકારક ટિપ્સ આપી હતી. ભારત સામે આક્રમક રમત રમવા ૫૪ વર્ષના ઝુબિન ભરૂચાની મદદ લેનાર સનથ જયસૂર્યાએ કહ્યું હતું કે તેઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીની ગેરહાજરીનો T20 સિરીઝમાં ફાયદો ઉઠાવશે.
મંગળવારે ભારત સામેની T20 સિરીઝ માટે સ્ક્વૉડની જાહેરાત કરનાર શ્રીલંકન ક્રિકેટ બોર્ડને બુધવારે મોટો ફ્ટકો પડ્યો હતો. T20 સિરીઝ પહેલાં શ્રીલંકન બોલર દુષ્મન્થા ચમીરા ઈજાને કારણે સ્ક્વૉડમાંથી બહાર થયો છે. તેની ઈજા અને રિપ્લેસમેન્ટ વિશે શ્રીલંકા ક્રિકેટે વધુ માહિતી શૅર કરી નથી. ભારત સામે ૧૫ T20માં સૌથી વધુ ૧૬ વિકેટ લેનાર દુષ્મન્થા ચમીરા આ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ બની શક્યો હોત.