06 April, 2025 07:06 AM IST | Wellington | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખુશદિલ શાહે પોતાનો ગુસ્સો ગુમાવ્યો અને ચાહકો પર હુમલો કર્યો (તસવીર: સોશિયલ મીડિયા)
પાકિસ્તાન ક્રિકેટની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. એક તરફ, ટીમ દરેક મૅચમાં હારનો સામનો કરી રહી છે, તો બીજી તરફ, તેના ખેલાડીઓ પોતાના ગુસ્સા પરનો કાબૂ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહી છે, જેને શૅર કરીને લોકોએ દાવો કર્યો છે કે પાકિસ્તાનનો ખેલાડી ખુશદિલ શાહ મૅચ હારી જતાં ચાહકો સાથે ઝઘડો કરતો અને તેમને મારવા દોડતો જોવા મળી રહ્યો છે.
મૅચ પછી ખુશદિલ શાહ ચાહકો સાથે ઝઘડો થયો
થયું એમ કે, પાકિસ્તાનની ટીમ આ દિવસોમાં ન્યુઝીલૅન્ડના પ્રવાસ પર છે. શુક્રવારે, બંને ટીમો વચ્ચે ત્રણ મૅચની ODI શ્રેણીની છેલ્લી મૅચ રમાઈ હતી જેમાં ન્યુઝીલેન્ડે તેમને 84 રનથી હરાવીને ઓડીઆઇ સિરીઝ 3-0થી જીતી લીધી હતી. આ હાર બાદ, ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની ઓલરાઉન્ડર ખુશદિલ શાહ ચાહકો સાથે દલીલમાં ઉતર્યા. મામલો એટલો વધી ગયો કે સુરક્ષા કર્મચારીઓને દરમિયાનગીરી કરવી પડી. એક તરફ પાકિસ્તાનની આવી હાલત વચ્ચે ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની મોજ જોવા મળી રહી છે. દર્શકો બાકીની બધી ક્રિકેટ મૅચ છોડીને તેમની ફેવરેટ આઇપીએલ ટીમની સપોર્ટ કરી રહ્યા છે.
ન્યુઝીલૅન્ડમાં પાકિસ્તાનની હાલત ખરાબ
૨૦૨૩ના વનડે વર્લ્ડ કપ, ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ખરાબ પ્રદર્શન બાદ હવે પાકિસ્તાન ન્યુઝીલૅન્ડ પ્રવાસ પર પણ ખરાબ હાલતમાં છે. ટી20 સિરીઝમાં 4-1થી હારનો સામનો કર્યા બાદ, ન્યુઝીલૅન્ડના પ્રવાસ પર રહેલી પાકિસ્તાની ટીમે હવે ODI સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. શનિવારે રમાયેલી ત્રીજી વનડેમાં, ન્યુઝીલૅન્ડે ડકવર્થ લુઇસના નિયમોના આધારે પાકિસ્તાનને 43 રનથી હરાવ્યું. જીતવા માટે 42 ઓવરમાં 265 રનના લક્ષ્યાંકના જવાબમાં પાકિસ્તાન 40 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
પાકિસ્તાન ટી20 શ્રેણીમાં 4-1થી હારી ગયું
સલમાન અલી આગાના નેતૃત્વમાં, પાકિસ્તાનની ટીમે ત્રીજી ટી20 નવ વિકેટથી જીતી હતી અને તે પણ એક રેકોર્ડ સાથે, પરંતુ તે પહેલા અને પછી ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. ન્યૂઝીલૅન્ડે પહેલી ટી20 નવ વિકેટથી, બીજી ટી20 પાંચ વિકેટથી, ચોથી ટી-20 115 રનથી અને પાંચમી ટી20 આઠ વિકેટથી જીતી હતી. આ પછી, કિવીઓએ ODI શ્રેણીમાં પણ પ્રભુત્વ મેળવ્યું. માઈકલ બ્રેસવેલના નેતૃત્વમાં નવી કિવી ટીમે પ્રથમ વનડેમાં પાકિસ્તાનને 73 રનથી, બીજા વનડેમાં 84 રનથી અને ત્રીજા વનડેમાં 43 રનથી હરાવ્યું. ત્રીજી વનડે દરમિયાન, ઇમામ-ઉલ-હકના ચહેરા પર બોલ વાગ્યો હતો અને તેને એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. આ પછી, તેમને ચેકઅપ માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, પાકિસ્તાનની ઇનિંગ્સ દરમિયાન મેદાનમાં અંધારું હતું.