પાકિસ્તાનના હુમલા બાદ અફઘાનિસ્તાનના ક્રિકેટરો પીડિતોને હૉસ્પિટલમાં મળવા પહોંચ્યા, ઘટનાની નિંદા કરી

19 March, 2026 03:14 PM IST  |  Kabul | Gujarati Mid-day Online Correspondent

અહેવાલો અનુસાર, કાબુલમાં ડ્રગ રિહેબિલિટેશન સેન્ટર પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 400 થી વધુ લોકો માર્યા ગયા છે. આ ઘટના બાદ, અફઘાનિસ્તાનના લોકો સાથે ક્રિકેટ જગતના ખેલાડીઓમાં પણ આક્રોશ ફેલાયો છે. ઘણા ખેલાડીઓએ જાહેરમાં હુમલાની નિંદા કરી

અફઘાનિસ્તાનના ક્રિકેટરો પીડિતોને હૉસ્પિટલ મળવા પહોંચ્યા (તસવીર: ACB)

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) ના અધિકારીઓ અને રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઘાયલ થયેલા લોકોની તબિયત પૂછવા માટે કાબુલની હૉસ્પિટલની મુલાકાત લીધી. ખેલાડીઓએ પીડિતો અને તેમના પરિવારો સાથે એકતા વ્યક્ત કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. અફઘાનિસ્તાનના ODI અને ટૅસ્ટ કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ગુલબદીન નાયબ અને કૈસ અહમદ સાથે વઝીર અકબર ખાન હૉસ્પિટલ અને કાબુલ ઇમરજન્સી હૉસ્પિટલની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન, તેઓ હુમલામાં બચી ગયેલા લોકો સાથે મળ્યા અને તેમનું મનોબળ વધારવામાં મદદ કરી.

હવાઈ હુમલામાં ભારે જાનહાનિ, આંતરરાષ્ટ્રીય ધોરણે ચિંતા

અહેવાલો અનુસાર, કાબુલમાં ડ્રગ રિહેબિલિટેશન સેન્ટર પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 400 થી વધુ લોકો માર્યા ગયા છે. આ ઘટના બાદ, અફઘાનિસ્તાનના લોકો સાથે ક્રિકેટ જગતના ખેલાડીઓમાં પણ આક્રોશ ફેલાયો છે. ઘણા ખેલાડીઓએ જાહેરમાં હુમલાની નિંદા કરી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ હુમલાની તપાસની માગ કરી છે અને જવાબદારી સ્થાપિત કરવાની માગ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બન્ને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.

કુનાર પ્રાંતમાં રૉકેટ હુમલા

આ દરમિયાન, છેલ્લા 24 કલાકમાં, પાકિસ્તાન તરફથી કુનાર પ્રાંતમાં 124 રૉકેટ વડે હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં ડ્યુરન્ડ લાઇન નજીકના ઘણા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે આ રૉકેટ હુમલાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ મોટી સંખ્યામાં લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. કુનારના શરણાર્થીઓ અને પ્રત્યાવર્તન વિભાગ અનુસાર, આશરે 7,500 પરિવારો પહેલાથી જ સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી ચૂક્યા છે.

ખેલાડીઓ અને સમુદાય તરફથી પ્રતિક્રિયા

આ પહેલા, ઘણા અફઘાન ક્રિકેટરોએ કાબુલમાં થયેલા હુમલાઓ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને ન્યાયની માગ કરી હતી. અહેવાલો મુજબ પાકિસ્તાને કાબુલમાં અનેક સ્થળોએ ભારે બૉમ્બમારો કર્યો હતો, જેના પરિણામે સમગ્ર શહેરમાં એક પછી એક વિસ્ફોટ થયા હતા. અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ નાગરિકોના મૃત્યુના અહેવાલોથી ખૂબ જ દુઃખી છે. તેણે લખ્યું “જાણી જોઈને હોય કે ભૂલથી નાગરિકોના ઘરો, શૈક્ષણિક સંસ્થાઓ અથવા તબીબી સુવિધાઓને નિશાન બનાવવી યુદ્ધ અપરાધ છે. પોતાના નિવેદનમાં, રાશિદ ખાને કહ્યું, “કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓમાં નાગરિકોના મૃત્યુના અહેવાલોથી મને ખૂબ જ દુઃખ થયું છે. રમઝાનના પવિત્ર મહિનામાં માનવ જીવન પ્રત્યે આ પ્રકારની અવગણના ચિંતાજનક છે. હું સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર સંગઠનોને આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા અને જવાબદારો સામે પગલાં લેવા અપીલ કરું છું.” તાજેતરના વિકાસ કાબુલ અને પાકિસ્તાન વચ્ચે ઝડપથી બગડતા સંબંધો તરફ નિર્દેશ કરે છે. બન્ને પક્ષો સુરક્ષા મુદ્દાઓને લઈને સતત આરોપો લગાવી રહ્યા છે, એક એવી પરિસ્થિતિ જેણે પ્રદેશમાં તણાવને વધુ વધાર્યો છે.

afghanistan rashid khan pakistan kabul islamabad international news sports news sports cricket news