16 March, 2026 12:17 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
સરફરાઝ અહમદ
પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન સરફરાઝ અહમદે ગઈ કાલે ઑફિશ્યલી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને લગભગ બે દાયકાની શાનદાર કરીઅરનો અંત આણ્યો હતો. ૨૦૦૭માં તેણે જયપુરમાં ભારત સામેની વન-ડે મૅચથી પાકિસ્તાન માટે રમવાનું શરૂ કર્યું હતું. ડિસેમ્બર ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ-મૅચ બાદ તેને પાકિસ્તાન માટે કોઈ ઇન્ટરનૅશનલ મૅચ રમવાની તક નહોતી મળી. છેલ્લાં બે વર્ષથી તેણે પાકિસ્તાનની અન્ડર-19 ટીમના મેન્ટર તરીકે સિનિયર મેન્સ ટીમના સિલેક્ટર તરીકેની ભૂમિકા ભજવી હતી.
રિટાયરમેન્ટની જાહેરાત કરતાં સરફરાઝ અહમદે કહ્યું હતું કે ‘પાકિસ્તાન માટે રમવાની દરેક ક્ષણ ખાસ રહી છે. હું મારા સાથી-ખેલાડીઓ, કોચ, પરિવાર અને ચાહકોનો મારી સમગ્ર કરીઅર દરમ્યાન તેમના અતૂટ સમર્થન બદલ આભારી છું. મારી કૅપ્ટન્સી દરમ્યાન બાબર આઝમ, શાહીન આફ્રિદી, હસન અલી અને અન્ય ખેલાડીઓને મૅચવિજેતા બનતા જોવું એ મારી સૌથી ગર્વની સિદ્ધિઓમાંની એક છે. તમામ ફૉર્મેટમાં પાકિસ્તાનનું નેતૃત્વ કરવું એ એક સપનું સાકાર થવા સમાન હતું.’
૩૮ વર્ષનો સરફરાઝ અહમદ જુનિયર અને સિનિયર લેવલે ICC ટાઇટલ જીતનાર એકમાત્ર કૅપ્ટન છે. પોતાની કૅપ્ટન્સી દરમ્યાન ૨૦૦૬માં તે અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ અને ૨૦૧૭માં ચૅમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ ભારતને હરાવીને જીત્યો હતો.
સરફરાઝ અહમદે પાકિસ્તાન માટે ૫૪ ટેસ્ટ-મૅચ, ૧૧૭ વન-ડે અને ૬૧ T20 મૅચમાં ટોટલ ૬૧૬૪ રન કર્યા છે. તેણે ૬ સદી અને ૩૫ ફિફ્ટી ફટકારી હતી અને ૧૦૦ મૅચમાં પાકિસ્તાનની આગેવાની કરી હતી. તેની કૅપ્ટન્સીમાં પાકિસ્તાન ૧૩ ટેસ્ટમાંથી ૪, ૫૦ વન-ડેમાંથી ૨૮ અને ૩૭ T20 મૅચમાંથી ૨૯ મૅચ જીત્યું હતું. કૅપ્ટન તરીકે પાકિસ્તાનને T20 ક્રિકેટમાં નંબર વન રૅન્કિંગ સુધી લઈ જવાની અને સતત ૧૧ T20 મૅચ જિતાડવાની સિદ્ધિ પણ તેના નામે છે.