આજથી રણજી ટ્રોફીમાં સેમી ફાઇનલનો મુકાબલો શરૂ થશે

18 February, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્જરીને કારણે મુંબઈનો યશસ્વી જાયસવાલ રમવા વિશે શંકાસ્પદ

યશસ્વી જાયસવાલ

રણજી ટ્રોફી ૨૦૨૪-૨૫માં આજે ૧૭થી ૨૧ ફેબ્રુઆરી સુધી સેમી ફાઇનલ મૅચ રમાશે. નાગપુરમાં મુંબઈ અને વિદર્ભ વચ્ચે જ્યારે અમદાવાદમાં ગુજરાત અને કેરલા વચ્ચે સવારે ૯.૩૦ વાગ્યાથી સેમી ફાઇનલ મૅચની શરૂઆત થશે.

અજિંક્ય રહાણેના નેતૃત્વવાળી મુંબઈની ટીમ આ સીઝનમાં આઠમાંથી પાંચ મૅચ જીતી અને બે મૅચ હારી છે, જ્યારે એક મૅચ ડ્રૉ રહી છે. વિદર્ભની ટીમ આઠમાંથી સાત મૅચ જીતી છે અને એક મૅચ ડ્રૉ રહી છે. આ સીઝનમાં એક પણ મૅચ ન હારનારી વિદર્ભની ટીમ આજથી ૪૨ વારની રણજી ટ્રોફી ચૅમ્પિયન મુંબઈને પડકાર આપતી જોવા મળશે. આ મૅચ પહેલાં મુંબઈની ટીમને મોટો ફટકો પડ્યો છે. ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નો રિઝર્વ પ્લેયર યશસ્વી જાયસવાલ આ સેમી ફાઇનલ મૅચમાં રમવા વિશે શંકાસ્પદ છે, કારણ કે પ્રૅક્ટિસ સમયે તેના પગમાં ઇન્જરી થઈ છે.

ગુજરાતની ટીમ આ સીઝનમાં એક પણ મૅચ નથી હારી, આઠમાંથી પાંચ મૅચ જીતી છે અને ત્રણ મૅચ ડ્રૉ રહી છે. જ્યારે કેરલાની ટીમ આઠમાંથી માત્ર ત્રણ મૅચ જીતી છે. તેની પાંચ મૅચ ડ્રૉ રહી છે. જમ્મુ-કાશ્મીર સામે ક્વૉર્ટર ફાઇનલ મૅચ ડ્રૉ થયા બાદ એણે પહેલી ઇનિંગ્સની એક રનની લીડના આધારે સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

ranji trophy ranji trophy champions mumbai vidarbha yashasvi jaiswal gujarat kerala ajinkya rahane mumbai ranji team board of control for cricket in india cricket news sports news sports