06 June, 2025 06:56 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી મળેલી રનર-અપ ટીમની ટ્રોફી અને ચેક સ્વીકાર્યો શ્રેયસ ઐયરે.
IPLમાં ત્રણ જુદી-જુદી ટીમોને ફાઇનલમાં પહોંચાડવાની કમાલ કરનાર શ્રેયસ ઐયર આ વર્ષે પંજાબ કિંગ્સને પહેલી IPL ટ્રોફી અપાવતા ચૂકી ગયો હતો. ફાઇનલ મૅચમાં તે એક રને કૅચઆઉટ થયો એ પણ પંજાબની ૬ રનની નાના અંતરની હારનું સૌથી મોટું કારણ હતું. તે આ વર્ષે ૧૭ મૅચમાં ૬ ફિફ્ટીની મદદથી ૬૦૪ રન ફટકારીને ટીમનો હાઇએસ્ટ રન-સ્કોરર બન્યો હતો.
ફાઇનલ હાર્યા બાદ ૩૦ વર્ષના આ મુંબઈકરે કહ્યું, ‘નિરાશ છું, પણ અમે જે રીતે તકનો લાભ લીધો એનું ઘણું શ્રેય મૅનેજમેન્ટ અને દરેક પ્લેયરને જાય છે. અમારી ટીમના દરેક પ્લેયર પર ગર્વ છે, ઘણા યુવા પ્લેયર્સે તેમની પહેલી સીઝન રમી હતી. તેમની નિર્ભયતા અદ્ભુત હતી. કામ હજી અડધું જ પૂરું થયું છે, અમારે આવતા વર્ષે ટ્રોફી જીતવાની છે. દરેક વિભાગમાં અમે જે રીતે પ્રદર્શન કર્યું એ સકારાત્મક હતું, તેમણે ઘણો અનુભવ મેળવ્યો છે અને અમે આવતા વર્ષે એનાથી આગળ વધીશું.’
ઐયરની કૅપ્ટન્સીમાં પંજાબની ટીમ ૨૦૧૪ બાદ પહેલી વાર પ્લેઑફ્સ અને ફાઇનલ સુધી પહોંચી હતી.
12.50
રનર-અપ ટીમ બનવા બદલ આટલા કરોડ રૂપિયા મળ્યા પંજાબ કિંગ્સને.