23 October, 2025 09:42 PM IST | Adelaide | Gujarati Mid-day Online Correspondent
શુભમન ગિલ ધ્રુવ જૂરેલની જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો હતો.
ભારતીય ટીમને ઍડિલેડ ઓવલ ખાતે રમાયેલી ODI મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના કારણે ભારતીય ટીમ ત્રણ મૅચની ODI સિરીઝ ગુમાવી દીધી હતી. ODI સિરીઝનો ત્રીજો અને અંતિમ મૅચ 25 ઑક્ટોબર, શનિવારના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જ્યાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરવા માટે પ્રયત્નશીલ રહેશે. શુભમન ગિલે ઑસ્ટ્રેલિયા સામે ઍડિલેડ ODI માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. કૅપ્ટન તરીકે આ તેની બીજી ODI હતી. તેણે અગાઉ પર્થ ODI માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. રોહિત શર્માના સ્થાને શુભમનને ભારતની ODI ટીમનો નવો કૅપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો. કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણ, યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલને ઍડિલેડ ODI માં તક મળી ન હતી. જોકે, જુરેલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યા હોવા છતાં તે હેડલાઇન્સમાં આવ્યો છે, કારણ કે ભારતીય કૅપ્ટન શુભમન ગિલ ધ્રુવ જુરેલની જર્સી પહેરીને ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. મેદાન પર ખેલાડીઓ થોડી ઠંડી અનુભવી રહ્યા હતા ત્યારે કૅપ્ટન શુભમન ગિલ કદાચ પોતાની કીટ લાવવાનું ભૂલી ગયો હોઈ શકે છે જેથી તેણે જુરેલનું સ્વેટર પહેર્યું હતું.
શુભમન ગિલનું બૅટ ફોર્મમાં નથી
શુભમન ગિલ ઑસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી. તે પર્થ ODI માં માત્ર 10 રન બનાવી શક્યો હતો, જ્યારે ઍડિલેડ ODI માં તે 9 રન બનાવી શક્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શન ખાસ કરીને નિરાશાજનક રહ્યું છે, બન્ને મૅચમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. ઍડિલેડ ODI માં, ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરે બૅટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું. રોહિતે 97 બૉલમાં 73 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. શ્રેયસે 77 બૉલમાં 61 રનનું યોગદાન આપ્યું, જેમાં સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત અને શ્રેયસની અડધી સદી સાથે, ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 264 રન બનાવ્યા હતા. જોકે, ઑસ્ટ્રેલિયન ટીમે 46.2 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું. મેથ્યુ શોર્ટે 74 રન બનાવ્યા, જ્યારે કૂપર કોનોલીએ અણનમ 61 રન બનાવ્યા, જેણે ઑસ્ટ્રેલિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. ચાર ખેલાડીઓને આઉટ કરનારા એડમ ઝામ્પાને `પ્લેયર ઓફ ધ મૅચ` જાહેર કરવામાં આવ્યો.
વિરાટ કોહલી વનડેમાંથી નિવૃત્તિ લેશે? શૂન્ય પર આઉટ થયા પછી ચર્ચાઓ શરુ
આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં બે વાર સતત શૂન્ય આઉટ થયા પછી, વિરાટ કોહલીએ પોતાનો જમણો હાથ ઉપર ઉઠાવ્યો, ભીડને શાંત કરવા થોડો હાથ લહેરાવ્યો, લગભગ ગુડબાય કહેવા માટે. ઍડિલેડ ઓવલ તેનો ગઢ રહ્યો છે. તેણે આ સ્થળે (સમગ્ર ફોર્મેટમાં) મુલાકાતી બૅટર દ્વારા સૌથી વધુ રન (975) બનાવ્યા છે. જ્યારે તે બૅટિંગ કરવા ગયો ત્યારે તેનું જોરદાર સ્વાગત થયું અને મધ્યમાં ચાર બોલ રોકાયા પછી, ચોક્કસપણે તેનો મેળ ખાતો ન હતો પરંતુ ભીડએ તેને તાળીઓ પાડી વધાવી લીધો અને કોહલીએ તેનો સ્વીકાર કર્યો. કોહલીએ હાથ હલાવીને ગુડબાય કહ્યું તેનાથી તેના રિટાયરમેન્ટની ચર્ચાઓએ જોર પકડ્યું છે.