09 February, 2026 07:39 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઇન્ટરનૅશનલ ક્રિકેટ બોર્ડ (ICC) દ્વારા પાકિસ્તાનની ICC મૅન્સ T20 વર્લ્ડ કપ 2026 માં ભારત સામે મૅચ ન રમવાની જિદ્દનો વિવાદ હવે સમાપ્ત થાય તે માટે પગલાં લેવામાં આવા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા કરવામાં આવેલી બધી જ માગણીઓને ICC એ નકારી કાઢી હોવાના અહેવાલ છે. ભારત અને પાકિસ્તાન જેવા કટ્ટર હરીફો વચ્ચેની મૅચ 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોના પ્રતિષ્ઠિત આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાવાની છે. જોકે, પાકિસ્તાન સરકારે જાહેરાત કરી હતી કે તેઓ તેમના ખેલાડીઓને મૅચમાં ભાગ લેવાની મંજૂરી આપશે નહીં, તેથી મૅચ ન રમાય તેવા એંધાણ હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી, ડૅપ્યુટી ચૅરમેન ઇમરાન ખ્વાજાના નેતૃત્વ હેઠળના ICC પ્રતિનિધિમંડળ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના પ્રમુખ અમીનુલ ઇસ્લામ વચ્ચે લાહોરના ગદ્દાગી સ્ટેડિયમ ખાતે એક બેઠક યોજાઈ હતી. એવા અહેવાલો છે કે પાકિસ્તાને બેઠક દરમિયાન બહિષ્કાર સમાપ્ત કરવા માટે ત્રણ માગણીઓ રજૂ કરી હતી.
PCB એ માગ કરી હતી કે ભારતને પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય મૅચો રમવા બાબતે વાતચીત કરવા માટે કહેવામાં આવે. PCB એ ભારત - પાકિસ્તાન - બાંગ્લાદેશને ત્રિકોણીય સિરીઝ રમવાની પણ માગ કરી હતી. PCB એ પણ માગ કરી હતી કે ભારતે આ વર્ષે બાંગ્લાદેશનો પ્રવાસ કરવો જોઈએ. ICC એ બધી માગણીઓ ફગાવી દીધી જોકે, એવા અહેવાલો છે કે ICC એ PCB દ્વારા કરવામાં આવેલી બધી માગણીઓને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તે તેમનું કામ નથી.
દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ ICC ના ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ (FTP) હેઠળ આયોજન કરવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય મૅચો માટે લાંબા ગાળાના શેડ્યૂલ છે. ICC ફક્ત એકંદર યોજના બનાવે છે, પરંતુ સામેલ બે ક્રિકેટ બોર્ડ દ્વિપક્ષીય સિરીઝની વિગતો નક્કી કરે છે. આ નિર્ણયો પૈસા, ટીવી અધિકારો, ખેલાડીઓના વર્કલોડ અને શેડ્યૂલ પર આધાર રાખે છે. ભારત અને પાકિસ્તાન રાજકીય કારણોસર દ્વિપક્ષીય ક્રિકેટ રમ્યા નથી, ફક્ત ક્રિકેટના કારણોસર નહીં. આ કારણે, ICC પોતાની રીતે ભારત વિરુદ્ધ પાકિસ્તાન સિરીઝ ફરી શરૂ કરી શકતું નથી. આવા કોઈપણ નિર્ણય માટે BCCI અને ભારત સરકારની મંજૂરીની જરૂર પડશે.
PCBના અધ્યક્ષ મોહસીન નકવીએ મૅચ રમવાના બદલામાં આગાઉ પણ કેટલીક શરતો મૂકી છે, જેમાં ICCના કુલ આવકમાં પાકિસ્તાનનો હિસ્સો વધારવો અને બન્ને દેશના મૅચ પહેલા ખેલાડીઓ વચ્ચે હાથ મિલાવવાના પ્રોટોકોલનો પણ અમલ થવો જોઈએ, જોકે તે પણ પૂર્ણ ન થઈ હોવાનું કહેવાય છે, જેથી હવે બધી નજર પાકિસ્તાન પર છે.