08 June, 2021 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિચંદ્રન અશ્વિન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બૅટ્સમેન સંજય માંજરેકર સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન પર આપેલા નિવેદન પછી ચર્ચામાં છે. માંજરેકરે તાજેતરમાં જ ઑલ ટાઇમ ગ્રેટ પ્લેયર્સના નામ જણાવ્યા હતા, જેમાં તેણે અશ્વિનનું નામ સામેલ નહોતું કર્યું, તેણે એનું કારણ પણ જણાવ્યું હતું. માંજરેકરના નિવેદન પર હવે અશ્વિને જવાબ આપ્યો છે.
અશ્વિને ટ્વિટર પર મીમ દ્વારા આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે તામિલ ફિલ્મના ડાયલૉગની મદદ લીધી છે. અશ્વિને તામિલ ફિલ્મ `અપરિચિત`નો એક સીન શૅર કર્યો છે. આમાં મુખ્ય પાત્ર એક્ટર પોતાના મિત્રને કહે છે, "એસા મત કરો, મેરે દિલ મેં દર્દ હોતા હૈ."
માંજરેકરે શું કહ્યું હતું?
`ESPN ક્રિક ઇન્ફો` કાર્યક્રમ `રનઑર્ડર`માં ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઇયાન ચેપલે આર અશ્વિનના વખાણ કર્યા. ચેપલે અશ્વિનને હાલના સમયના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બૉલરમાંનો એક જણાવ્યો. આ શૉમાં હાજર સંજય માંજરેકર ઇયાન ચેપલની વાતથી સહેમત નહોતા.
માંજરેકરે અશ્વિનના વિદેશી મેદાનના રેકૉર્ડ પર પ્રશ્ન ઉઠાવ્યો. તેણે કહ્યું કે, "ભારતીય મેદાનો પર રવીન્દ્ર જાડેજા અને હાલ અક્ષર પટેલ જેવા સ્પિનરોએ પણ સારું પ્રદર્શન કર્યું છે."
માંજરેકરે કહ્યું, "જ્યારે લોકો તેને (અશ્વિનને) ઑલ ટાઇમ બેસ્ટ બૉલર જણાવે છે તો મને કંઇક વાંધો છે. અશ્વિન સાથે એ સમસ્યા છે કે તેણે SENA (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા) દેશોમાં એક પણ વાર પાંચ વિકેટ્સ નથી લીધી."
માંજરેકરે આગળ કહ્યું કે જ્યારે તમે ભારતીય પિચ પર તેમના દળદાર પરફૉર્મન્સને જુઓ છો તો છેલ્લા 4 વર્ષોમાં જાડેજાએ લગભગ તેના જેટલી જ વિકેટ્સ લીધી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી સિરીઝમાં પટેલે તેના કરતા પણ વધારે વિકેટ્સ લીધી હતી.