યોગરાજ સિંહે ક્રિકેટર્સની વહેલી નિવૃત્તિ માટે પત્નીઓને જવાબદાર ગણાવી

29 March, 2026 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે ક્રિકેટર્સની ઉંમર અને પત્નીઓ વચ્ચે ચોંકાવનારો દાવો કર્યો છે.

યોગરાજ સિંહની ૬૮મી વર્ષગાંઠ પર યુવરાજ સિંહે પપ્પાના ઘરે કરી હતી સરપ્રાઇઝ વિઝિટ.

યુવરાજ સિંહના પપ્પા અને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ક્રિકેટર્સની ઉંમર અને પત્નીઓ વચ્ચે ચોંકાવનારો દાવો કર્યો છે. હાલમાં ૬૮ વર્ષના થયેલા યોગરાજ સિંહે કહ્યું કે ‘મારું માનવું છે કે સ્ત્રીઓએ રમતવીરના ભવ્ય ભવિષ્યમાં અવરોધ ન લાવવો જોઈએ. તેઓ ફક્ત ભગવાનના માણસ છે.’ યોગરાજ સિંહ કહે છે, ‘જ્યાં સુધી રમતવીરો જીવંત છે ત્યાં સુધી તેઓ મહાન વસ્તુઓ પ્રાપ્ત કરવા સક્ષમ છે; પરંતુ ક્રિકેટર્સની પત્નીઓ સલાહ આપવાનું શરૂ કરે છે કે હવે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે, હવે પરિવાર અને બાળકોની સંભાળ રાખવાનો સમય આવી ગયો છે.’ ટૂંકમાં તેમણે પ્લેયર્સની વહેલી નિવૃત્તિ માટે એમની પત્નીઓને જવાબદાર ગણાવી હતી. ભારત માટે ૧૯૮૦-’૮૧ દરમ્યાન ૬ વન-ડે અને ૧ ટેસ્ટ-મૅચ રમનાર યોગરાજ સિંહ વધુમાં કહે છે, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલીની કરીઅરમાં ઉંમરનું કોઈ મહત્ત્વ નથી. જ્યાં સુધી તેઓ રન બનાવવાનું ચાલુ રાખે છે ત્યાં સુધી દુનિયામાં કોઈ પણ તેમને વન-ડેની ભારતીય પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખી શકે નહીં. ધોનીએ સંપૂર્ણ શિસ્ત અને સમર્પણ દ્વારા તેની ફિટનેસ સાબિત કરી છે. તેણે પણ હજી ૧૦ વર્ષ રમવાનું ચાલુ રાખવું જોઈએ.’

yuvraj singh ms dhoni virat kohli rohit sharma cricket news sports news sports