કરીઅરના સૌથી પડકારજનક તબક્કામાં વિરાટ કોહલીએ મારું માઇન્ડસેટ બદલવામાં મદદ કરી હતી : પી. વી. સિંધુ

22 July, 2026 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીઅરના સૌથી પડકારજનક તબક્કામાં વિરાટ કોહલીએ મારું માઇન્ડસેટ બદલવામાં મદદ કરી હતી : પી. વી. સિંધુ

પી. વી. સિંધુ વિરાટ કોહલી સાથે

ભારતની સ્ટાર શટલર પી. વી. સિંધુએ ખુલાસો કર્યો છે કે કેવી રીતે વિરાટ કોહલી સાથેની વાતચીતથી તેની કરીઅરના સૌથી પડકારજનક તબક્કા દરમ્યાન તેને માનસિકતા બદલવામાં મદદ મળી. હાલમાં જ પી. વી. સિંધુએ જપાન ઓપનમાં ગોલ્ડ મેડલ જીતીને બે વર્ષના ટાઇટલ દુકાળને સમાપ્ત કર્યો હતો.

પી. વી. સિંધુ કહે છે, ‘એક માણસ માટે હું હંમેશાં આભારી રહીશ અને તે છે વિરાટભાઈ. મારી કારકિર્દીના સૌથી મુશ્કેલ તબક્કા દરમ્યાન મેં તેનો સંપર્ક કર્યો હતો. ઘણી બધી ઇન્જરીઓ થઈ રહી હતી અને રિઝલ્ટ સારાં આવી રહ્યાં નહોતાં. ફક્ત એવી વ્યક્તિની જરૂર હતી જે મને સમજી શકે. તેણે થોડી વારમાં જ મારા મેસેજનો જવાબ આપ્યો અને અમે બીજા જ દિવસે મળ્યાં હતાં.’

પી. વી. સિંધુ વાતચીત ક્યારે થઈ એનો ખુલાસો કર્યા વગર કહે છે, ‘અમે જે ચર્ચા કરી એ હંમેશાં અમારી વચ્ચે રહેશે, પરંતુ હું હંમેશાં આભારી રહીશ કે જ્યારે મને કોઈની જરૂર હતી ત્યારે તે મારી સાથે હતો. કેટલીક વાતચીતો આપણી વસ્તુઓને જોવાની રીત બદલી નાખે છે. આ આવી જ એક વાતચીત હતી. મેં સૌથી મોટી વાત એ શીખી કે આપણી ખુશીને ફરીથી શોધવું કેટલું મહત્ત્વપૂર્ણ છે.’

એ વાતચીત દરમ્યાન પી. વી. સિંધુનો પતિ વેન્કટ દત્તા સાઈ પણ ત્યાં હાજર હતો. તેણે વિરાટ સાથેની વાતચીતથી પ્રેરિત થઈને પી. વી. સિંધુના તાલીમ-કાર્યક્રમમાં નોંધપાત્ર ફેરફારો કર્યા. એની સાથે જ સ્પોર્ટ્સ સાયન્સ અને વર્કલોડ મૅનેજમેન્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

badminton news pv sindhu virat kohli india sports sports news