10 September, 2026 11:47 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
એશિયન ગેમ્સના ખેલાડીઓ સાથે ચર્ચા કરતાં ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશનનાં પ્રમુખ પી.ટી. ઉષા.
જપાનમાં આયોજિત એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓ આ વખતે દેશનું પ્રતિનિધિત્વ કરવા મેદાનમાં ઊતરશે ત્યારે તેઓ ઑફિશ્યલી નૈતિકતાના બંધનમાં પણ બંધાયેલા હશે. ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ભાગ લેતાં પહેલાં પોતાની ફિટનેસ અને ડોપિંગના નિયમોની જાણકારી હોવા સાથે દેશનું નામ ખરાબ ન કરવા, મૅચ ફિક્સિંગ અને સટ્ટાબાજીથી દૂર રહેવા માટેનું ઍફિડેવિટ આપવું પડશે.
સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (SAI) એ તમામ રમતસંઘોને ભાગ લેનારા ખેલાડીઓ અને કોચ પાસે ઍફિડેવિટ ભરાવવાનો અને નૅશનલ સ્પોર્ટ્સ રિપોઝિટરી સિસ્ટમ (NSRS) પર રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
આ અંતર્ગત ખેલાડીએ પોતાની અને પોતાના ગ્રાસરૂટથી લઈને એલીટ સ્તરના કોચની માહિતી પૂરી પાડવી પડશે. ઍફિડેવિટ હેઠળ ખેલાડીઓએ પોતાનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ જોડવું પડશે. SAIએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ અનફિટ ખેલાડી એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં.