03 April, 2026 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં એક કલકત્તા ફ્રૅન્ચાઇઝીના સહ-માલિક લિએન્ડર પેસ સાથે જોવા મળ્યો યુવરાજ સિંહ
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે ગૉલ્ફની રમત વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. નિવૃત્તિ પછીથી ગૉલ્ફના શોખીન બનેલા યુવરાજને ઇન્ડિયન ગૉલ્ફ પ્રીમિયર લીગ (IGPL)ની બીજી આવૃત્તિ માટે બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં ગઈ કાલે યુવરાજ સિંહે કહ્યું હતું કે ‘ક્રિકેટર્સે ક્રિકેટની સાથે ગૉલ્ફ પણ રમવાનું શરૂ કરવું જોઈએ. મારે પહેલાં ગૉલ્ફ રમવાનું શરૂ કરવું જોઈતું હતું, કારણ કે એ મારી ક્રિકેટ-કરીઅરમાં મદદ કરી શક્યું હોત. ગૉલ્ફ ખરેખર તમને આરામ કરવામાં અને તાણ દૂર કરવામાં મદદ કરે છે.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાના ક્રિકેટર્સ બાળપણથી જ ગૉલ્ફ રમી રહ્યા છે. ભારતના દરેક બાળકે એને અજમાવવું જોઈએ. અમે ગૉલ્ફને સ્કૂલોમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું દૃઢપણે માનું છું કે દરેક બાળકે દરેક રમતમાં પોતાનો હાથ અજમાવવો જોઈએ. હું જાણું છું કે ક્રિકેટ આપણી સૌથી મોટી અને પ્રિય રમત છે, પરંતુ ગૉલ્ફ પણ એક રોમાંચક રમત છે જેનો દરેક વ્યક્તિએ અનુભવ કરવો જોઈએ.’