12 July, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અજય દેવગનની સિંઘમ સ્ટાઈલ (તસવીર: મિડ-ડે)
મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે. આ બધા વિવાદ પર હવે બૉલિવૂડના કલાકારો પણ નિવેદનો આપી રહ્યા છે. કેટલાક કલાકારોના નિવેદનોને લીધે વિવાદ શરૂ થયો છે, તો કેટલાક સ્ટાર્સે આ અંગે ખૂબ જ સુરક્ષિત રહેવાનું પસંદ કર્યું છે. તાજેતરમાં અભિનેતા અજય દેવગને તેમની ‘સિંઘમ’ સ્ટાઈલમાં મરાઠી ભાષા વિવાદ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.
જ્યારે બૉલિવૂડના મોટાભાગના સેલેબ્સ મરાઠી ભાષા વિવાદ મુદ્દે મૌન રહ્યા છે, તેઓ સોશિયલ મીડિયા પર તેના વિશે પોસ્ટ પણ કરતા નથી, એવા વચ્ચે બૉલિવૂડ અભિનેતા અજય દેવગને 11 જુલાઈના રોજ તેની ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’ ના ટ્રેલર લૉન્ચ સમયે આ મુદ્દાને સંબોધિત કરતા કહ્યું હતું કે, "આતા માજી સાટકલી". ભાષા વિવાદને કારણે મુંબઈમાં વધી રહેલા તણાવના જવાબમાં અજય પોતાનો પ્રતિષ્ઠિત સિંઘમ સ્ટાઈલમાં ડાયલોગ બોલ્યો હતો. અજયે જ્યારે આવી પ્રતિક્રિયા આપી ત્યારનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અજયનો આ જવાબ લોકોને ખૂબ જ ગમી રહ્યો છે.
દરમિયાન, પીઢ પ્લેબૅક સિંગર ઉદિત નારાયણે પણ ભાષા વિવાદ પર ભાર મૂક્યો અને કહ્યું, “આપણે મહારાષ્ટ્રમાં રહીએ છીએ અને તે મારી ‘કર્મભૂમિ’ છે. તેથી, અહીંની ભાષા પણ મહત્ત્વપૂર્ણ છે. તેની સાથે, આપણા દેશની બધી ભાષાઓ પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.” કોઈ પણ પક્ષ પસંદ કર્યા વિના તેમણે પોતાના નિવેદનમાં પ્રતિભાવમાં ભારતની સમૃદ્ધ ભાષાકીય વિવિધતાને સૂક્ષ્મ રીતે પ્રકાશિત કરી હતી.
અભિનેત્રી જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહારિયાએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ શૅર કરી, જેમાં મરાઠી અસ્મિતા અથવા મરાઠી ગૌરવની ભાવનાને સ્વીકારવામાં આવી અને લખ્યું, “તે ઊંડી, ભાવનાત્મક અને આપણી જીવનશૈલીમાં મૂળ છે. તે ગૌરવ બીજાના ગૌરવના ભોગે આવી શકે નહીં... આપણે ડર દ્વારા ભાષાને જીવંત રાખી શકતા નથી." જાહ્નવીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ શૅર કરી.
શિલ્પા શેટ્ટી, શિખર પહારિયા અને જાહ્નવી કપૂરે મરાઠી ભાષાના વિવાદ વિશે વાત કરી છે.
૧૦ જુલાઈના રોજ KD: The Devil ના ટ્રેલર લૉન્ચમાં આવેલી શિલ્પા શેટ્ટીએ પણ વિવાદથી દૂર રહીને કહ્યું, "મી મહારાષ્ટ્ર ચી મૂલગી આહે. (હું એક મહારાષ્ટ્રીયન છોકરી છું)."
શું છે મરાઠી ભાષા વિવાદ
મુંબઈમાં કેટલાક વેપારીઓ પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરો દ્વારા મરાઠી ન બોલવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે આ વિવાદ શરૂ થયો હતો. MNS માગ કરી રહી છે કે મુંબઈમાં વેપારીઓ અને દુકાનદારો મરાઠી બોલે, જેના કારણે બન્ને જૂથો વચ્ચે તણાવ ફેલાયો છે. પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે કામ કરી રહી છે.