19 May, 2025 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શિલ્પા શિરોડકર (ફાઈલ તસવીર)
Shilpa Shirodkar: `બિગ બૉસ` ફેમ શિલ્પા શિરોડકરની તબિયત સારી નથી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને જણાવ્યું કે તેણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને તે ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.
શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ મળી આવી છે. તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. તેણે લખ્યું, `નમસ્તે મિત્રો! મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે લોકો સુરક્ષિત રહો અને માસ્ક પહેરો. લોકો શિલ્પાની પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા છે અને તેના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોને એ જાણીને આશ્ચર્ય થાય છે કે લોકોને હજુ પણ કોરોના થઈ રહ્યો છે.
સોનાક્ષી સિંહાએ કરી કોમેન્ટ
શિલ્પાની પોસ્ટ પર કોમેન્ટ કરતા બૉલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ (Sonakshi Sinha) લખ્યું, "હે ભગવાન!!! તમારું ધ્યાન રાખજો શિલ્પા... જલ્દી સ્વસ્થ થાઓ." આના પર શિલ્પા શિરોડકરે લખ્યું, "આભાર સોનાક્ષી. તમારું પણ ધ્યાન રાખજો." ઇન્દિરા કૃષ્ણાએ લખ્યું, "ધ્યાન રાખજો. જલ્દી સ્વસ્થ થઈ જાઓ." શિલ્પાએ આના પર હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું છે.
સિંગાપોરમાં કોવિડ-19ના કેસ ફરી વધ્યા
સિંગાપોરના આરોગ્ય અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે હાલમાં દેશમાં ફેલાઈ રહેલો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતા વધુ ચેપી નથી. આરોગ્ય મંત્રાલય (MOH) અને ચેપી રોગો એજન્સી (CDA) દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન અનુસાર, 27 એપ્રિલથી 3 મે, 2025 દરમિયાન કોવિડ-19ના લગભગ 14,200 નવા કેસ નોંધાયા હતા, જે અગાઉના અઠવાડિયામાં લગભગ 11,100 હતા.
નોંધનીય છે કે, રવિવારે સવારે કેઇએમ હોસ્પિટલમાં 58 વર્ષીય મહિલાનું શંકાસ્પદ કોરોના વાયરસથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. તેની સાથે જ પરેલમાં રહેતી 58 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી ત્યારબાદ 14 મેના રોજ કેઇએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બંને મહિલાઓની ત્યાં સારવાર ચાલી રહી હતી. રવિવારે સવારે તેનું મોત થયું હતું. એમ ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું.
કેઈએમ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મોહન દેસાઇએ જણાવ્યું કે- "કોવિડ-19 શરૂ થયો ત્યારથી આવી બીમારીઓ ધરાવતા દર્દીઓનું પરીક્ષણ કરવા માટે તે એક પ્રોટોકોલ બની ગયું છે. કોવિડ હવે ચેપ જેવો બની ગયો છે અને જેમને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અથવા વધારે શરદી હોય તેઓ સામાન્ય રીતે કોવિડ-19 માટે પરીક્ષણો કરે છે. આનો અર્થ એ નથી કે વાયરસ પાછો આવી ગયો છે અથવા ફરીથી ફેલાઈ રહ્યો છે. ગયા અઠવાડિયે અમારી પાસે 15 દર્દીઓ હતા જેમણે કોવિડ માટે પોઝિટિવ પરીક્ષણ કર્યું હતું. આ મહિલાના પ્રમાણપત્ર પર ઉલ્લેખિત મૃત્યુનું કારણ પણ અલગ છે. તેથી ગભરાવાની જરૂર નથી”
આમ, હોસ્પિટલના પ્રશાસન દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે આ બંને દર્દીઓમાંથી એકનું મોત કેન્સર અને બીજીનું કિડનીની સમસ્યાને કારણે થયું છે. માટે જ ડોક્ટરો અને બીએમસી અધિકારીઓએ સાવચેતી (Mumbai Covid Cases) રાખવા લોકોને જણાવ્યું છે અને સાથે અપીલ કરી છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી.