20 June, 2026 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાલા હિરનના ડિરેક્ટરને પાકિસ્તાનથી શહઝાદ ભટ્ટીના ધમકીભર્યા કૉલ આવી રહ્યા છે
સલમાન ખાનની સંડોવણીવાળા જોધપુરના ૧૯૯૮ના ચર્ચિત કાળા હરણ શિકાર કેસ પર આધારિત ફિલ્મ ‘કાલા હિરન’ ફરી ચર્ચામાં આવી છે. જોકે આ વખતે ચર્ચાનું કારણ ફિલ્મની વાર્તા નહીં પરંતુ એના ડિરેક્ટર અમિત જાનીને મળેલી જાનથી મારી નાખવાની ધમકીઓ છે અને આ મામલે ડિરેક્ટરે જોધપુરના રાતાનાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેનો આરોપ છે કે તેને પાકિસ્તાનમાંથી વૉટ્સઍપ કૉલ અને મેસેજ દ્વારા સતત ધમકીઓ મળી રહી છે. આ ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. આ મામલામાં અમિત જાનીએ પોતાની ફરિયાદમાં સુરક્ષા આપવાની ડિમાન્ડ પણ કરી છે
પોલીસ-ફરિયાદ પ્રમાણે કૉલ કરનાર વ્યક્તિએ પોતાનું નામ શહઝાદ ભટ્ટી હોવાનું જણાવ્યું હતું અને ફિલ્મ ‘કાલા હિરન’ના નિર્માણકાર્યથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. ફરિયાદ મુજબ કૉલ કરનારે ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી. પોલીસે ફરિયાદ નોંધાયા બાદ ટેકનિકલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કૉલની સત્યતા, કૉલ કરનારની વાસ્તવિક ઓળખ, કૉલ ક્યાંથી કરવામાં આવ્યો હતો અને ધમકી પાછળનો હેતુ શું હતો એની તપાસ ચાલી રહી છે.