11 April, 2026 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમારને મળવા રાજકોટનો યુવક ૭૦૦ કિલોમીટર ખુલ્લા પગે ચાલીને મુંબઈ આવ્યો
કહેવાય છે કે જો કોઈ વસ્તુને ખરા દિલથી ચાહો તો આખી કાયનાત એને તમારી સાથે મેળવવામાં લાગી જાય. આવી જ કંઈક કહાની રાજકોટના વતની અને વ્યવસાયે રૅપિડો-ડ્રાઇવર અશોક કંજારિયાની છે. બૉલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારને મળવાના અતૂટ સંકલ્પ સાથે અશોકે રાજકોટથી મુંબઈ સુધીની ૭૦૦ કિલોમીટરની યાત્રા ખુલ્લા પગે ખેડી હતી. અંદાજે દોઢ મહિનાના સંઘર્ષ અને મુંબઈના રસ્તાઓ પર વિતાવેલી રાતો બાદ આખરે ૮ એપ્રિલે અક્ષય કુમારે અશોકને રૂબરૂ મળીને તેનું સપનું સાકાર કર્યું હતું.
૩૫ વર્ષનો અશોક કંજારિયા અક્ષય કુમારનો જબરો ફૅન છે. તે હાથમાં તિરંગો અને અક્ષય કુમારના ફોટોવાળું ટી-શર્ટ પહેરીને ૧૭ ફેબ્રુઆરીએ રાજકોટથી નીકળ્યો હતો. તેણે સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી હું અક્ષય કુમારને નહીં મળું ત્યાં સુધી પગમાં ચંપલ નહીં પહેરું. સતત ૧૮ દિવસ સુધી આકરી ગરમી અને મુશ્કેલીઓ વચ્ચે ચાલીને તે ૬ માર્ચે મુંબઈ પહોંચ્યો હતો. જોકે મુંબઈ પહોંચ્યા પછી પણ અક્ષય કુમારને મળવાનું સરળ નહોતું બન્યું. અશોકે મહિના સુધી મુંબઈનાં રેલવે-સ્ટેશનો અને ફુટપાથ પર રાતો વિતાવી હતી અને એ દરમ્યાન તેના ૧૪,૦૦૦ રૂપિયા ખર્ચાઈ ગયા હતા. રાજકોટમાં તેનો પરિવાર ચિંતાતુર હતો, પરંતુ અશોક પોતાના ઇરાદા પર મક્કમ રહ્યો. આખરે અક્ષય કુમારને જ્યારે આ પ્રશંસક વિશે જાણ થઈ ત્યારે તેણે તાત્કાલિક પોતાની સિક્યૉરિટી-ટીમને સૂચના આપીને અશોકને મુલાકાત માટે બોલાવ્યો. ૮ એપ્રિલે સવારે ૮.૩૦ વાગ્યે જુહુના નિવાસસ્થાને અક્ષય કુમાર અશોકને મળ્યો હતો. અશોકે ભાવુક થતાં જણાવ્યું હતું કે ‘અક્ષયસરે મને ઘણી વાર ‘બેટા’ કહીને સંબોધ્યો અને આશીર્વાદ આપ્યા હતા. તેમણે મારી સાથે ફોટો પણ પડાવ્યો હતો.’
જોકે અક્ષય કુમારે અશોકને આ રીતે ખુલ્લા પગે ચાલીને સ્વાસ્થ્ય સાથે જોખમ ન ખેડવાની સલાહ આપી હતી અને ભવિષ્યમાં આવું ન કરવા સમજાવ્યો હતો.
અશોક કંજારિયા માટે આ મુલાકાત માત્ર એક સેલ્ફી પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેના જીવનની સૌથી મોટી ‘તપસ્યા’ની પૂર્ણાહુતિ હતી.