17 November, 2025 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય વર્મા
વિજય વર્માએ હાલમાં એક પૉડકાસ્ટમાં પોતાના જીવનના ડિપ્રેશન અને એની સામેની લડત વિશેના એક અત્યંત અંગત અધ્યાય વિશે વાત કરી હતી. તેણે એવું પણ જણાવ્યું હતું કે આમિર ખાનની દીકરી આઇરા ખાને આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં તેને મદદ કરી હતી. આ પૉડકાસ્ટમાં વિજયે જણાવ્યું કે તેના ભાવનાત્મક સંઘર્ષની શરૂઆત બાળપણમાં જ થઈ હતી જેનું કારણ તેના પિતા સાથેનો તાણભર્યો સંબંધ હતો. આ તબક્કાને યાદ કરતાં વિજયે કહ્યું હતું કે ‘મારા પિતા ખૂબ જ ગુસ્સાવાળા અને કડક સ્વભાવના હતા. તેઓ મને પ્રેમ કરતા હતા, પરંતુ મારી પાસે ઘણી એવી બાબતોની અપેક્ષા રાખતા જે હું કરવા નહોતો માગતો. મારી કરીઅર, મારા મિત્રો તેમ જ મારો સમય કઈ રીતે પસાર કરું છું જેવી તમામ બાબતો સામે તેમને સમસ્યા હતી. મારા પિતા ઇચ્છતા હતા કે હું ફૅમિલી-બિઝનેસ કરું, પરંતુ તેમના સ્વભાવને કારણે હું એવું ન કરી શક્યો. જેટલો વધુ હું વિરોધ કરતો એટલો તેમનો ગુસ્સો વધતો ગયો હતો.’
ઍક્ટિંગમાં આગળ વધવાના પોતાના નિર્ણય વિશે વાત કરતાં વિજયે કહ્યું હતું કે ‘મેં થિયેટર કર્યું અને જ્યારે મને ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં પ્રવેશ મળ્યો ત્યારે તેમના વિરોધ છતાં મેં ઘર છોડ્યું. મેં કહ્યું કે મને સ્કૉલરશિપ મળી છે અને આ માત્ર એક વર્ષનો કોર્સ છે. તેમણે ગુસ્સામાં કહ્યું કે હું પાછો આવું એ પહેલાં તું ઘર છોડીને જતો રહેજે. એટલે હું મારો સામાન બાંધીને નીકળી ગયો હતો. હું કોઈ ઝઘડો નહોતો ઇચ્છતો. જોકે ૨૦૨૦ના લૉકડાઉન વખતે મારી સ્થિતિ બગડી ગઈ હતી.’
લૉકડાઉન વખતના તબક્કા વિશે વાત કરતાં વિજયે પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ‘૨૦૨૦ના લૉકડાઉન દરમ્યાન મારી અંદરનું એકાંત વધુ તકલીફદાયક બન્યું હતું. હું મુંબઈના મારા ફ્લૅટમાં બિલકુલ એકલો હતો. મારી પાસે નાની છત હતી. આ બ્રેક દરમ્યાન મને સમજાયું કે સતત કામની દોડમાં હું કેટલો એકલો થઈ ગયો છું. એ સમયે મારી સ્થિતિ જોઈને આમિર ખાનની દીકરી આઇરા ખાને મને ઝૂમ વર્કઆઉટ સેશનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યો અને સમજાવ્યું કે આ ડિપ્રેશનનાં લક્ષણો છે અને થેરપી લેવામાં કાંઈ ખરાબી નથી.’
ડિપ્રેશનને લીધે કારણ વિના કલાકો સુધી રડવું આવતું
પૉડકાસ્ટમાં પોતાના ડિપ્રેશન વિશે વાત કરતાં વિજય વર્માએ ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘મને ગંભીર ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીની સમસ્યા હોવાનું નિદાન થયું હતું. મારી થેરપિસ્ટે દવા લેવાની સલાહ આપી, પણ મેં કહ્યું કે હું પહેલાં જાતે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કરું છું. થેરપી અને યોગ દ્વારા વર્ષોથી દબાયેલા ભાવો ફરી બહાર આવ્યા. સૂર્યનમસ્કાર કરતી વખતે હું કારણ વિના કલાકો સુધી રડતો રહેતો. આજે પણ મને ઘર છોડવાનો અફસોસ છે. મેં પરિવાર છોડ્યો અને દાયકાઓ સુધી એકલો સંઘર્ષ કરતો રહ્યો, પરંતુ કોઈ ખાસ સિદ્ધિની લાગણી નહોતી થતી.’
વિજય વર્માએ ડિપ્રેશનની લવ-લાઇફ પર પડતી અસર વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ડિપ્રેશનની અસર તમારી લવ-લાઇફમાં દેખાય છે. તમે એ જ પૅટર્ન ફરી-ફરીને રિપીટ કરો છો. જ્યારે તમે બાળપણમાં નજીકના સંબંધો તૂટતા જુઓ છો ત્યારે પ્રેમ પણ ડર જેવો લાગે છે એથી તમે લોકોને તમારાથી દૂર ધકેલી દો છો.’