05 June, 2026 08:31 AM IST | Prabhas Patan | Gujarati Mid-day Correspondent
સોમનાથ ટ્રસ્ટના સેવકે મુંબઈના યુવાનને મોબાઇલ પરત કર્યો હતો
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શને મુંબઈથી આવેલા યુવાનનો ખોવાયેલો ૮૦,૦૦૦ રૂપિયાની કિંમતનો નવો આઇફોન સોમનાથ ટ્રસ્ટના સેવકે સહીસલામત પાછો આપ્યો હતો.
મુંબઈનો એક યુવાન સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવ્યો હતો. આ યુવાન રામ મંદિરમાં પણ દર્શન કરવા ગયો હતો જ્યાં પરિસરમાં ક્યાંક તેનો મોબાઇલ ખોવાઈ ગયો હતો. મોબાઇલ ખોવાઈ જતાં યુવાન ચિંતામાં મુકાઈ ગયો હતો અને આજુબાજુમાં મોબાઇલ શોધવા લાગ્યો હતો. આ દરમ્યાન સોમનાથ ટ્રસ્ટના સિવિલ વિભાગમાં ફરજ બજાવતા સેવકને પાર્કિંગમાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો જેથી સેવકે ટ્રસ્ટના અધિકારીનો સંપર્ક કરીને હકીકત જણાવી હતી. બીજી તરફ મોબાઇલ શોધી રહેલા યુવકનો સંપર્ક થતાં સેવકે યુવાનની ખરાઈ કર્યા બાદ તેને તેનો ખોવાઈ ગયેલો મોબાઇલ ફોન પરત આપ્યો હતો. મોબાઇલ પાછો મળતાં યુવાને સેવકને ઇનામ આપવા પ્રયાસ કર્યો, પરંતુ સેવકે નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો હતો.
બુધવારે ગુજરાતમાં ભારે પવન ફૂંકાતાં સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વંટોળે કૌતુક સરજ્યું હતું. આકાશમાં ધૂળની ડમરીએ અનોખો આકાર રચતાં ગ્રામવાસીઓ એને ઊભડક જીવે જોતા જ રહી ગયા હતા. એટલું જ નહીં, બુધવારે સૌરાષ્ટ્રના પાટડી અને માલવણ તેમ જ ઉત્તર ગુજરાતના હડાદ અને પોશીના પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જોકે ગઈ કાલે ગુજરાતમાં મેઘરાજાએ શાંતિ રાખી હતી અને સાંજે ૬ વાગ્યા સુધીમાં ક્યાંય પણ વરસાદ પડ્યો નહોતો.